રાજ્યવ્યાપી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરેલા ભરૂચના તલાટી કમ મંત્રીઓએ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા બાઇક રેલી યોજી જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. પોતાની વિવિધ પડતર માંગણી મુદ્દે તા. 2 જી ઓગસ્ટથી રાજ્યના તલાટીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી કામકાજથી અળગા રહ્યા છે. આ હડતાળ દરમ્યાન પણ તા. 13થી 15 ઓગસ્ટ સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.
જેના પ્રસાર અને પ્રચાર માટે તલાટી મંડળ દ્વારા ભરૂચના નંદેલાવ ગ્રામ પંચાયતથી તિરંગા બાઇક રેલીનું આયોજન કરાયું હતું. આ રેલીને નંદેલાવના સરપંચ દ્વારા ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવવામાં આવી હતી. હાથમાં તિરંગા સાથે ભરૂચના તલાટીઓ વિવિધ ગામમાંથી રેલી લઈને પસાર થયા હતા. આ રેલીનું ભરૂચ તાલુકા પંચાયત ખાતે સમાપન કરવામાં આવ્યું હતું.
