સૌપ્રથમ વખત જે.બી.મોદી કેન્સર સેન્ટર ખાતે જવલ્લેજ થતી ચીરા વગરની મગજના કેન્સરની ગાંઠની સર્જરી કરવામાં આવી હતી જેમાં દર્દીનો જીવબચાવવામાં આવ્યો હતો. ભરૂચ અને નર્મદા જિલ્લામાં પ્રથમ વખત જે,બી.મોદી કેન્સર સેન્ટર અંકલેશ્વર ખાતે રેડિયેશન ઓન્કોલોજી વિભાગના સિનિયર રેડિયેશન ઑનોલોજિસ્ટ ડૉ. તેજસ પંડ્યા,ડૉ. ચિંતાય પ્રજાપતિ તેમની ટીમ અને અત્યાધુનિક રેડિયેશન થેરાપી મશીન દ્વારા આ પ્રકારની સારવાર શક્ય બની છે.
ઉલ્લેખનીય છે કે અહીં માં અને આયુષ્માન યોજના હેઠળ કેન્સરની તમામ સારવાર તદ્દન ફ્રી માં મળતી હોઈ, આસપાસના તેમજ છેવાડાના ગામના દર્દીઓને વડોદરા અને સુરત જવાનું ટળ્યું છે અને ઘણી રાહત પ્રાપ્ત થઈ છે.શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ સંચાલિત જે.બી.મોદી કેન્સર સેન્ટર અંકલેશ્વર ખાતે ડેડીયાપાડા ગામના ૩૬ વર્ષીય મહિલા દર્દીની રેડિયોથેરાપી પદ્ધતિ દ્વારા મગજના કેન્સરની ગાંઠની ચીરા વગરની સર્જરી કરવામાં આવી હતી.આ દર્દીની અંડાશયના કેન્સરની કિમોથેરાપી દ્વારા સારવાર ચાલી રહી હતી.આ દરમિયાન તેને માથાના તીવ્ર દુઃખાવા અને વોમિટિંગની ફરિયાદ કરી હતી.
જેથી મગજનો એમ.આર.આઈ કરવામાં આવ્યો અને તેમાં મગજમાં કેન્સરની ગાંઠ જોવા મળી. દર્દીની યુવાન વયને ધ્યાનમાં રાખીને રેડિયોથેરાપી દ્વારા નિદાન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતુ.જેમાં કેન્સરગ્રસ્ત ભાગમાં રેડિયેશનનો ઊંચો ડોઝ આપવામાં આવે છે, આ દરમિયાન આસપાસના સારા ભાગમાં કોઈ પણ પ્રકારની હાનિ થતી નથી અને સફળતાપૂર્વકની સારવાર બાદ ધાર્યું પરિણામ મળે છે.