Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : શ્રીજીની પ્રતિમાઓના વેચાણમાં મંદીનો માહોલ, બંગાળી મૂર્તિકારોનો ધંધો પડી ભાંગ્યો..!

ગણપતિ પ્રતિમાઓના વેચાણ માટે મૂર્તિકારોએ નાખ્યા તંબુ, બજારમાં મંદીનો માહોલ જામતા બંગાળી મૂર્તિકારોને હાલાકી.

X

કોરોના મહામારીના કારણે આ વર્ષે પણ ગણેશ ચતુર્થીના તહેવાર દરમ્યાન શ્રીજી પ્રતિમાઓના વેચાણમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં છેલ્લા 10 વર્ષોથી ગણપતિ મૂર્તિકાર એવા બંગાળી કલાકારોની મુર્તિઓના વેચાણનો ધંધો પડી ભાંગ્યો છે.

છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીના કારણે તહેવારો સહિતના અનેક ઉત્સવો ફીકા પડી ગયા હતા., ત્યારે હવે આ વર્ષે કોરોના સંક્રમણમાં ઘટાડો થતાં રાજ્ય સરકાર દ્વારા ગણેશ મહોત્સવ ઉજવવા માટે મંજૂરી આપવામાં આવી છે. જેમાં સરકારની ગાઈડલાઇન સાથે ગણેશજીની સાડા ચાર ફૂટની પ્રતિમાઓને પંડાલમાં સ્થાપના કરવાની છૂટ આપવામાં આવી છે. જોકે, અંકલેશ્વર શહેર તેમજ જીઆઈડીસી વિસ્તારમાં શ્રીજી પ્રતિમા બનાવનાર મૂર્તિકારોએ તંબુ તો બાંધ્યા છે.

પરંતુ ઘરાકી નહીં નીકળતા હાલ મૂર્તિકારોની હાલત કફોડી બની છે. આ સાથે જ મૂર્તિકારોને શ્રીજીની પ્રતિમા બનાવવા માટે માટી તેમજ અન્ય ચીજવસ્તુઓ પણ સરળતાથી નહીં મળતા પ્રતિમા દીઠ રૂપિયા 400થી 500 જેટલો ભાવ વધારો થયો છે. જોકે, આસ્થા સાથે જોડાયેલા ઉત્સવ ગણેશ મહોત્સવ નિમિત્તે શ્રીજી ભક્તો મોડે મોડે પણ બજારોમાં શ્રીજીની પ્રતિમા ખરીદવા માટે નીકળે તેવી મૂર્તિકારો આશ લગાવીને બેઠા છે. આ સાથે જ લોકો પણ સરકારની ગાઈડલાઇનનું પાલન કરી ગણેશ મહોત્સવ સાદગીપૂર્વક ઉજવે અને કોરોના મહામારી સામે લોકોને રક્ષણ મળે તેવી પ્રાર્થના કરી હતી.

Next Story