અંકલેશ્વર : ડેનો ફાર્મ કંપનીમાંથી કીટોકોનાઝૉલ પાઉડરની ચોરી મામલે પોલીસે 3 કર્મચારીઓની ધરપકડ કરી...
ડેનો ફાર્મ કેમિકલ્સ કંપનીમાંથી કીટોકોનાઝૉલ પાઉડરની ચોરીના મામલામાં શિફ્ટ ઇન્ચાર્જ અને ઓપરેટરના કહેવાથી પ્લાન્ટ ઓપરેટરે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીની કર્માતુર ચોકડી પાસે આવેલ ડેનો ફાર્મ કેમિકલ્સ કંપનીમાંથી કીટોકોનાઝૉલ પાઉડરની ચોરીના મામલામાં શિફ્ટ ઇન્ચાર્જ અને ઓપરેટરના કહેવાથી પ્લાન્ટ ઓપરેટરે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના ગડખોડ પાટિયા સ્થિત વેલકમ નગરમાં રહેતા વિનયકુમાર રામ વિરાજન સિંઘ અંકલેશ્વર જીઆઈડીસીની કર્માતુર ચોકડી પાસે આવેલ ડેનો ફાર્મ કેમિકલ્સ કંપનીમાં જનરલ મેનેજર તરીકે ફરજ બનાવે છે. જેઓની કંપનીમાં ગત તા. 4 ઓકટોબરના રોજ રાત્રીના સમયે સિક્યુરિટી ગાર્ડનો ફોન આવ્યો હતો, અને કંપનીમાં પ્લાન્ટ ઓપરેટર તરીકે ફરજ બજાવતા અવિનાશ વર્માને 3 કિલો કીટોકોનાઝૉલ પાઉડર સાથે પકડી પાડ્યો હોવાનું જણાવ્યુ હતું.
જે બાદ કંપનીના જનરલ મેનેજરે અવિનાશ વર્મા અને તેના કોન્ટ્રાક્ટરને બોલાવી તેની પૂછપરછ કરતાં આ પાઉડરનો જથ્થો શિફ્ટ ઇન્ચાર્જ યતેન્દ્ર સિંઘ તેમજ મનોજ સિંઘના કહેવાથી કીટોકોનાઝૉલ પાઉડરની ચોરી કરી હોવાનું કબૂલ કર્યું હતું, ત્યારે કંપની સત્તાધીશો દ્વારા રૂ. 13 હજારના કીટોકોનાઝૉલ પાઉડરની ચોરી અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં ચોરીમાં સંડોવાયેલ ત્રણેય કર્મચારીઓને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.