/connect-gujarat/media/post_banners/abd9055e30e31b885935259a39e308c2312a8eed002a966bba6232f5da2d1bc5.webp)
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઈન્દોર પ્રાથમિક શાળા ખાતે પૂરના પ્રકોપમાં બાળકોના પાઠ્યપુસ્તકો પાણીમાં પલળી જતાં મોટું નુકશાન પહોચ્યું છે, ત્યારે કનેક્ટ ગુજરાત ન્યૂઝના ડિરેક્ટર યોગેશ પારિક તરફથી શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદ મળી રહે તેવા હેતુથી નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગત તા. 17 અને 18 સપ્ટેમ્બરના રોજ નર્મદા નદીમાં આવેલા ભારે પૂરના કારણે ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં પાણી ફરી વળ્યા હતા. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 18 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડી મુકવામાં આવતા લોકોએ વિનાશક પૂરનો ભોગ બનવાનો વારો આવ્યો છે. ભરૂચ જીલ્લાના 3 તાલુકાના 35થી વધુ ગામો અને ભરૂચ-અંકલેશ્વરની 200થી વધુ સોસાયટીઓમાં રહેતા હજારો પરીવાર પર તેની અસર થઈ છે. પૂરના પાણીના કારણે હજારો લોકોની ઘરવખરી, ખેડૂતોની ખેતપેદાશો સહિત પશુપાલકોના પશુઓના જાનમાલને પણ મોટું નુકશાન થયું છે.
આ સાથે જ નર્મદા કાંઠા વિસ્તારમાં આવેલ પૂરના વિનાશમાં શાળાઓ પણ બાકાત નથી રહી. ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઈન્દોર ગામે આવેલ પ્રાથમિક શાળામાં પણ તારાજી સર્જાય હતી. જેમાં શાળાઓમાં અગત્યના દસ્તાવેજ પણ પાણીમાં ખરાબ થઈ જવા સાથે વિદ્યાર્થી બાળકોના પાઠ્યપુસ્તકો પણ પાણીમાં પલળી જતાં નુકશાન થયું છે, ત્યારે ભરૂચ જિલ્લાની કેટલીક સમાજિક સંસ્થાઓ આ શાળાની વ્હારે આવીને ઊભી છે. કનેક્ટ ગુજરાત ન્યૂઝના ડિરેક્ટર યોગેશ પારિક તરફથી શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદ મળી રહે તેવા હેતુથી નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ શાળા પરિવારને કોઈપણ જરૂરિયાત વર્તાય તે માટે પણ તેઓએ સંપૂર્ણ તૈયારી બતાવી હતી, ત્યારે ઈન્દોર પ્રાથમિક શાળાને કનેક્ટ ગુજરાત ન્યૂઝના ડિરેક્ટર યોગેશ પારિકનો સહયોગ પ્રાપ્ત થતાં શાળા પરિવાર દ્વારા તેઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.