ઉત્તરાયણ પર્વે પાલિકા દ્વારા લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય
ઉત્તરાયણ પર્વે થતાં અકસ્માતોને નિવારવા નવતર અભિગમ
અલગ અલગ 12 રૂટ ઉપર શરૂ કરાય મફત સિટી બસ સેવા
હવે, કાતીલ દોરીથી થતાં અકસ્માતો ઘટશે : પાલિકા પ્રમુખ
લોકોને મફત મુસાફરીનો લાભ લેવા પાલિકા પ્રમુખની અપીલ
ઉત્તરાયણના તહેવારમાં કાતીલ દોરીથી અનેક અકસ્માતો સર્જાય છે, અને કેટલાય લોકો પોતાનો જીવ ખોઈ બેસે છે. તેવામાં ઉત્તરાયણના તહેવારમાં કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે ભરૂચ નગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શહેરીજનોમાં સસ્તી અને સુવિધાજનક સિટી બસ તરફ ઝોક વધી રહ્યો છે. આ દરમિયાન રક્ષાબંધન પર્વે બહેનોને ભરૂચ સિટી બસ સેવાની મફત મુસાફરીની ભેટ આપવામાં આવી હતી. જેના કારણે મહિલાઓનો બસમાં મુસાફરી માટે તડાકો પડી ગયો હતો. જેનો હજારોની સંખ્યામાં બહેનોએ લાભ લીધો હતો, ત્યારે હવે ઉત્તરાયણ પર્વે તા. 14 જાન્યુઆરીએ સવારથી શહેરના 12 રૂટ ઉપર ફરતી મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવામાં લોકો માટે મફત મુસાફરી કરવાની જાહેરાત પાલિકા દ્વારા કરવામાં આવી છે. જેનો મોટી સંખ્યામાં નગરજનો તેમજ બહાર ગામથી આવતા લોકો લાભ લે તે માટે ભરૂચ નગરપાલિકા પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી છે.