ભરૂચ : કલમ 307 હેઠળ કાર્યવાહી કરવા ભાડભૂતના રાઠોડ સમાજનું તંત્રને આવેદન, જાણો સમગ્ર મામલો..!
આરોપીઓ વિરુદ્ધ 307ની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી
ભાડભૂતમાં રાઠોડ અને મિસ્ત્રી સમાજના લોકો વચ્ચે વિવાદ
મારામારી થતાં રાઠોડ સમાજના લોકોને પહોચી ગંભીર ઈજા
પોલીસ દ્વારા કલમ 307 નહીં નોંધાતા તંત્રને આપ્યું આવેદન
ભરૂચના ભાડભૂત ગામ ખાતે રાઠોડ સમાજ અને મિસ્ત્રી સમાજના વ્યક્તિઓ વચ્ચે થયેલી મારામારીમાં રાઠોડ સમાજના વ્યક્તિઓને થયેલી ગંભીર ઈજાઓ બાદ પણ આ મામલે પોલીસ દ્વારા 307ની કલમ નહીં નોંધાતા રાઠોડ સમાજ દ્વારા આદિવાસી સમાજના નેજા હેઠળ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભાડભૂત ગામે રહેતા રાઠોડ સમાજના લોકોએ સમસ્ત ભરૂચ જીલ્લા આદિવાસી સમાજના નેજા હેઠળ આવેદન પત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, કમલેશ સોમાભાઇ રાઠોડ ભાડભૂત ગામના રાઠોડ ફળીયામાં રહે છે. તેઓના કુંટુંબીજનો ઉપર ભાડભૂત ગામના મિસ્ત્રી તથા માછી સમાજ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં કમલેશ રાઠોડને માથામાં પાછળના ભાગે લોખંડનો સળીયો વાગી જતાં તેઓને ગંભીર ઇજા પહોચી હતી. જેથી સામાવાળા લોકો વિરુદ્ધ IPC કલમ 307 દાખલ કરવી જોઇએ.
પરંતુ પોલીસ દ્વારા આ કલમ દાખલ કરવામાં આવી ન હતી, જ્યારે એક સગીર બાળકીને પણ સદર કામના આરોપીઓએ મારમારી દરમ્યાન ફેંકી દીધેલ છતાં પણ આ આરોપીઓ વિરુદ્ધ પોકસોની કલમ પણ દાખલ થઈ ન હોવાનો આક્ષેપ થયો છે, ત્યારે હવે આ મામલે આરોપીઓ વિરુદ્ધ 307ની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.