વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે શુક્રવારે એક મોટી ભેટ આપવાના છે. PM મોદી આવતીકાલે સાંજે 4.30 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા મહારાષ્ટ્રના થાણે અને દિવાને જોડતી બે વધારાની રેલવે લાઇનોનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત પીએમ મુંબઈ ઉપનગરીય રેલવેની બે ઉપનગરીય ટ્રેનોને પણ લીલી ઝંડી બતાવશે.

આ પછી પીએમનું સંબોધન કરવામાં આવશે. વડાપ્રધાન કાર્યાલય (PMO)એ આ માહિતી આપી છે. હાલમાં કલ્યાણ મધ્ય રેલવેનું મુખ્ય જંકશન છે. દેશના ઉત્તર અને દક્ષિણ બાજુથી આવતો રેલ્વે ટ્રાફિક હવે કલ્યાણથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ (CSTM) તરફ જોડાય છે. કલ્યાણ અને CSTM વચ્ચેના ચાર ટ્રેકમાંથી બેનો ઉપયોગ ધીમી લોકલ ટ્રેનો માટે થાય છે જ્યારે બે ટ્રેકનો ઉપયોગ ઝડપી લોકલ, મેલ એક્સપ્રેસ અને માલસામાન ટ્રેનો માટે થાય છે.

ઉપનગરીય અને લાંબા અંતરની ટ્રેનોને અલગ કરવા માટે બે વધારાના ટ્રેકનું આયોજન કરવામાં આવ્યું હતું, નિવેદનમાં જણાવાયું છે. આશરે રૂ. 620 કરોડના ખર્ચે થાણે અને દિવાને જોડતી બે વધારાની રેલ્વે લાઇનનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમાં 1.4 કિલોમીટર લાંબો રેલ ફ્લાયઓવર, ત્રણ મોટા પુલ અને 21 નાના પુલનો સમાવેશ થાય છે. આ નવી લાઈનોથી મુંબઈમાં લાંબા અંતરની ટ્રેનો તેમજ ઉપનગરીય ટ્રેનોના ટ્રાફિકમાં ઘટાડો થશે. આ ઉપરાંત આ લાઈનો પરથી શહેરમાં 36 નવી ઉપનગરીય ટ્રેનો પણ દોડાવવામાં આવશે.