ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે કોરોના કાળમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા યુવા સંગઠનોએ એક છત નીચે આવીને સેવાને બહેતર બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.
કોરોના સંક્રમણના વ્યાપ વચ્ચે પોતાની કે, પોતાના પરિવારની ચિંતા કર્યા વિના રાત-દિવસ જરૂરિયાતમંદ દર્દીઓ અને તેમના પરિવારજનોની વિવિધ પ્રકારે સેવા કરતા જુદા જુદા સંગઠનોની સેવાઓને વધુ અસરકારક બનાવવા, તથા સેવાઓનો વ્યાપ વધારવા માટે સેવાધામ ખાતે મળેલી એક ચિંતન સભામાં મનોમંથન કરાયુ હતું.
આહવા ખાતે સેવાધામ, જનસેવા સંગઠન, સેવાભાવી ગ્રૂપ, દંડકેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ, અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સેવાકર્મીઓ દ્વારા કોઈપણ પ્રકારના નાત, જાત કે ધર્મના ભેદભાવ વિના તત્કાળ સેવાઓ પુરી પાડવામા આવી રહી છે. જેમાં બ્લડ ડોનેશન સહિત એમ્બ્યુલન્સ સેવા, શબવાહિની/રામરથની સેવા, કોરોનાને કારણે જીવ ગુમાવનારાઓની અન્તયેસ્ઠીની સેવા, કોવિડ કેર સેન્ટરમાં દાખલ દર્દીઓ તથા તેમના પરિવારજનોના ભોજન સહિત ચા-નાસ્તાની સેવા, રખડતા/રઝળતા લોકોને ભોજન પૂરું પાડવાની સેવા, કન્ટેઈનમેન્ટ ઝોન કે બફર ઝોનમાં સમાવિષ્ટ લોકોને આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડવાની સેવા, સાર્વજનિક સ્થળોએ પાણીની પરબ કે લીંબુ સરબત અને છાશ વિતરણની સેવા ઉપરાંત ગરીબગુરબાઓની જઠરાગ્નિ ઠારવાને લગતી તમામ પ્રકારની સેવાઓ પુરી પાડવામા આવી રહી છે. આવી તમામ સેવાઓ આપતા સ્વયં સેવકો તથા સંગઠનોએ એક છત નીચે એકત્ર થઈને સેવા પ્રવૃત્તિઓને વધુ અસરકારક બનાવવા અને પરસ્પર તાલમેલ સાથે સેવા પ્રવૃતિઓને વધુ બહેતર બનાવવાનો સામુહિક સંકલ્પ વ્યક્ત કર્યો હતો.