ભરૂચના ગોલ્ડનબ્રિજની બાજુમાં બની રહેલાં નવા નર્મદા મૈયા બ્રિજની કામગીરીમાં કોરોના વિધ્ન બની આવ્યો હોવાની વિગતો સપાટી પર આવી છે. કોરોનાના દર્દીઓને મોટાભાગનો ઓકિસજનનો જથ્થો આપી દેવામાં આવતાં બ્રિજમાં વેલ્ડીંગની કામગીરી અટકી પડી હતી.
ભરૂચના ગોલ્ડનબ્રિજ પર વાહનોનું ભારણ વધી રહયું હોવાથી ગોલ્ડનબ્રિજની સમાંતર નવો બ્રિજ બનાવવામાં આવી રહયો છે. લગભગ છ વર્ષ ઉપરાંતથી બ્રિજની કામગીરી ચાલી રહી છે. છેલ્લા થોડા મહિનાઓથી કામગીરીની ઝડપ વધારવામાં આવતાં પહેલી મે ગુજરાત સ્થાપના દિવસના દિવસે બ્રિજને ખુલ્લો મુકી દેવામાં આવે તેવી સંભાવના હતી પણ બ્રિજની કામગીરીમાં કોરોનાનું વિધ્ન નડયું હતું. કોરોનાની બીજી લહેરમાં ઓકિસજનની માંગ એકદમ વધી ગઇ હતી. સરકારે ઇન્ડસ્ટ્રીયલ ઓકિસજન પણ હોસ્પિટલોને ફાળવી દીધો હતો. ઓકિસજન વિના નર્મદા મૈયા બ્રિજમાં અમુક જગ્યાએ વેલ્ડીંગની કામગીરી અટકી પડી હતી. હવે કોરોનાના કેસ ઘટી રહયાં છે ત્યારે ઓકિસજનની માંગ ઓછી થતાં બ્રિજ ખાતે વેલ્ડીંગની કામગીરી ફરી શરૂ કરી દેવામાં આવી છે. બ્રિજની 90 ટકા કામગીરી પુરી થઇ ચુકી હોવાથી આગામી દિવસોમાં ભરૂચવાસીઓને નર્મદા મૈયા બ્રિજની ભેટ મળશે. ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે, નવા બ્રિજના લેન્ડીંગ સ્પાનની કામગીરી ફેબ્રિકેશનના અભાવે અટકી હતી.