ભરૂચ : રથયાત્રા પૂર્વે જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી
રથયાત્રાના રૂટ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સંદર્ભે વિચાર વિમર્શ કરી જરૂરી સૂચન કરવામાં આવ્યા હતા.
અષાઢી બીજના દિવસે ભરૂચ શહેરમાં ભગવાન જગન્નાથજી રથયાત્રા મહોત્સવ નિમિત્તે ફુરજા બંદર, આશ્રય સોસાયટી તેમજ ઇસ્કોન મંદિરથી ભવ્ય રથયાત્રા નીકળનાર છે, ત્યારે આ રથયાત્રા મહોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે ભરૂચ પોલીસ સજ્જ બની છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલની અધ્યક્ષતામાં પોલીસ હેડ ક્વોટર ખાતે સમાજના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક યોજાય હતી.
જેમાં રથયાત્રાના રૂટ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સંદર્ભે વિચાર વિમર્શ કરી જરૂરી સૂચન કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, અષાઢી બીજના દિવસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિત ડ્રોન કેમેરા, ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ દ્વારા રથયાત્રા રૂટો પર ચાપતી નજર રાખવામાં આવશે. આ સાથે જ રથયાત્રાના રૂટ પરના સ્થાનિકો સાથે મુલાકાતો કરી શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા મહોત્સવ સંપન્ન થાય તે બાબતે સહકાર આપવા પણ ભરૂચ પોલીસે અપીલ કરી છે.