ભરૂચ શહેરમાં 250 વર્ષ ઉપરાંતથી ઉજવાતા ચાર દિવસીય મેઘરાજા-છડી મહોત્સવ નિમિત્તે આજે સાતમથી લોકમેળા સાથે આરંભ થતા જ મેદની ઉમટવાની શરૂ થઈ ગઈ છે. સાતમથી દશમ સુધી ઉજવાતા આ ઉત્સવ અને મેળાની આજે બુધવારથી પ્રારંભ થયો છે. ભોઈ સમાજનો મેઘ અને છડી ઉત્સવ સાથે ખારવા અને વાલ્મિકી સમાજના છડી મહોત્સવનો પણ પરંપરાગત પ્રારંભ થયો છે.
ભરૂચના પંચબત્તીથી સોનેરી મહેલ સુધીનો માર્ગ દુકાનો, સ્ટોલ, મંડપને લઈ મેળામાં પરિવર્તિત થઈ ગયો છે. સ્ટેશન રોડ ખાતે પણ મેળાનો માહોલ છવાઈ ગયો છે. આજે સાતમે મેઘરાજાને નવા વસ્ત્રો ધરાવવા સાથે ઘોઘારાવ મહારાજના ચોકમાં છડીદારોએ છડીને ઝુલાવી હતી. આ સાથે જ ભરૂચ શહેર ઉપરાંત જિલ્લાની જનમેદની મેળામાં ખાણી-પીણી, ખરીદારી અને દર્શન માટે છલકાવવાની શરૂઆત થઈ ગઈ છે.