Connect Gujarat
ધર્મ દર્શન 

ભરૂચ : પ્રબોધિની એકાદશીએ તુલસી વિવાહ પ્રસંગ રચાયો, લગ્ન પ્રસંગનો ભક્તજનોએ લ્હાવો લીધો...

તુલસીનું બીજું નામ વૃંદા છે. પૌરાણીક કથા અનુસાર. જલંધર નામના અસુરનો વધ કરવા ભગવાન વિષ્ણુએ જલંધરની પત્ની સતી વૃંદાનું સતીત્વ ભંગ કર્યું હતું

X

તુલસીનું બીજું નામ વૃંદા છે. પૌરાણીક કથા અનુસાર. જલંધર નામના અસુરનો વધ કરવા ભગવાન વિષ્ણુએ જલંધરની પત્ની સતી વૃંદાનું સતીત્વ ભંગ કર્યું હતું અને અસુર રાક્ષસ જલંધર હણાયો હતો. જેને લઈ સતીવૃંદાએ ભગવાન વિષ્ણુને પથ્થર બનવાનો શ્રાપ આપ્યો, જલંધરની પત્ની સતીવૃંદાના શ્રાપથી ભગવાન વિષ્ણુ પથ્થર સ્વરૂપમાં આવી ગયા હતા. સતી વૃંદા (તુલસી)નો શ્રાપ સાંભળી દેવ, ઋષિઓએ સતી વૃંદાને વિનંતી કરી તેથી વૃંદાએ ભગવાનની માફી માંગી, વિષ્ણુ ભગવાન વૃંદાની ભક્તિથી પરિચિત હતા.

માટે તેમને આશીર્વાદ આપ્યા કે તમે તુલસીનાં છોડ તરીકે અવતરણ પામશો, અને હું જ્યારે પથ્થર રૂપ હોઈશ, ત્યારે તમારી સાથે લગ્ન કરીશ તેમજ તમારી હાજરી વગર ક્યારેય ભોજન નહીં કરું. આ પ્રસંગ પછી ભગવાન વિષ્ણુ શાલિગ્રામ સ્વરુપે પ્રગટ થયા અને તુલસી છોડ તરીકે અવતરણ પામ્યા. ત્યારબાદ બન્નેના લગ્ન કરાવવામાં આવ્યા હતા. ભગવાન વિષ્ણું તુલસીના પાન વગર ભોજન સ્વીકારતા નથી, ત્યારથી તુલસી વિવાહનો પ્રસંગ ઉજવવામાં આવે છે.

આ પરંપરા અનુસાર, ભરૂચ શહેરના દાંડિયા બજાર ખાતે આવેલ પૌરાણિક રામજી મંદિરમાં દેવઊઠી અગિયારસ નિમિત્તે ભગવાન શાલીગ્રામ અને તુલસીનો વિવાહના પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. રાણા પરિવાર દ્વારા ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીનો તુલસી વિવાહનો પ્રસંગ યોજવામાં આવ્યો હતો. જેમાં સમગ્ર વિવાહની વિધિ જાણીતા કર્મકાંડી હિરેન મહારાજે કરાવી હતી. યોજાયેલ તુલસી વિવાહમાં મંગલફેરા, કન્યાદાન સહિત લગ્નની તમામ વિધિ યોજાય હતી. આ અવસરે મોટી સંખ્યામાં પરિવારજનો તેમજ ભક્તજનોએ ભગવાનના લગ્ન પ્રસંગનો લ્હાવો લીધો હતો.

તો બીજી તરફ, ભરૂચ જિલ્લાના જંબુસર નગરના રામજી મંદિર તથા મઢી ખાતે પણ તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રતિ વર્ષ દેવદિવાળીના દિવસે ભગવાનનો તુલસીજી સાથે વિવાહ સંપન્ન કરવામાં આવે છે. જે અંતર્ગત જંબુસરના રામજી મંદિર, મઢી વૈષ્ણવ મંદિર, વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિર, મુરલીધર મંદિર સહિતના વિવિધ મંદરીમાં તુલસી વિવાહ સંપન્ન થયો હતો. ભારત દેશ એ ઉત્સવોનો દેશ છે, જ્યાં ભારતીય પરંપરામાં સૌથી પહેલો માંગલિક પ્રસંગ એટલે કારતક સુદ અગિયારસ તુલસી વિવાહ આવે છે.

જેની જંબુસર શહેરમાં રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. જંબુસરના વિવિધ મંદિરમાં બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર થકી લાલજી મહારાજનો તુલસીજી સાથે વિવાહ પ્રસંગ સંપન્ન કરાયો હતો. આ સાથે જ મઢી ખાતે નકલંદેવ ભગવાનની ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી પરત મંદિરે પહોંચી હતી, ત્યારે તુલસી વિવાહ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉસ્પ્થિત રહ્યા હતા.

Next Story