-
કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે શનિવારનું વિશેષ મહત્વ
-
કષ્ટભંજન હનુમાનજી દાદાના સિંહાસનને દિવ્ય શણગાર કરાયો
-
કષ્ટભંજનને 1 કિલો સોનામાંથી બનેલ મુગટ-કુંડળ પહેરાવ્યા
-
કષ્ટભંજન હનુમાનજીને 500 કિલો કેરીનો અન્નકૂટ ધરાવાયો
-
ભગવાનના દિવ્ય શણગારના દર્શન કરી ભાવિકો ધન્ય થયા
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત આસ્થાના પ્રતિક એવા બોટાદ જિલ્લાના સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંનજન દાદાને 1 કિલો સોનામાંથી બનેલ મુગટ અને કુંડળ પહેરાવવા સહિત 500 કિલો કેરીનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત બિરાજમાન શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદા પ્રત્યે ભક્તોમાં અતૂટ શ્રદ્ધા છે, ત્યારે આજરોજ પવિત્ર શનિવાર નિમિત્તે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજ-અથાણાવાળાની પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને 1 કિલો સોનામાંથી બનેલ મુગટ અને કુંડળ પહેરાવવામાં આવ્યા હતા. આ સાથે જ દાદાને 500 કિલો કેરીનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. વહેલી સવારે મંગળા આરતી અને શણગાર આરતી કરવામાં આવી હતી.
આ સાથે જ પંચમુખી હનુમાનજી મહારાજની મૂર્તિનો અભિષેક એવં અન્નકૂટ આરતી સહિત સમુહ મારૂતી યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે. શનિવાર નિમિત્તે સમગ્ર મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડેઠઠ ભરાઈ ગયું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ અલૌકિક દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો.