મહેસાણા જીલ્લામાં ગાયકવાડ સરકાર વખતથી શરૂ કરાયેલ માઁ બહુચરની પાલખી યાત્રા લગભગ 19 મહિના બાદ ફરી શરૂ કરવામાં આવી હતી, ત્યારે માતાજીની સાહી સવારીની મંદિર પ્રદક્ષિણાને દર્શન કરી માઇભક્તો ભાવ વિભોર થયા હતા.
પવિત્ર યાત્રાધામ શક્તિપીઠ બહુચરાજીમાં કોરોના મહામારીના કારણે બંધ કરાયેલી બહુચર માતાજીની પાલખી યાત્રાની પરંપરા 19 મહિના બાદ દુર્ગાષ્ટમીની રાત્રે પુનઃ શરૂ કરવામાં આવી હતી. વૈદિક મંત્રોચ્ચાર સાથે માતાજીની સાહી સવારીની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આમ તો બહુચરાજી શહેરમાં પ્રદક્ષિણા ફરીને માતાજી ભક્તોને સામે ચાલી દર્શન આપતા હોય છે. પરંતુ કોરોના ગાઈડલાઈન મુજબ 19 મહિના બાદ બહુચર માતાજીની પાલખીને મંદિર પરિસરમાં જ ફેરવામાં આવી હતી, ત્યારે મોટી સંખ્યામાં ભક્તો પાલખી યાત્રામાં જોડાઈને માતાજીની સાહી સવારીના દર્શન કરી ભાવ વિભોર થયા હતા.