Connect Gujarat
ધર્મ દર્શન 

કાર્તિકી પૂર્ણિમાએ શ્રી સોમનાથ મંદિરે રચાયો અદ્ભુત “અમૃત વર્ષા યોગ”, જુઓ અલભ્ય નજારો...

X

કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રીએ રચાયો અદ્ભુત સંયોગ

ચંદ્રદેવ, ધ્વજદંડ, જ્યોતિર્લિંગ એક ક્ષિતિજમાં આવ્યા

સોમનાથ અમૃત વર્ષા સંયોગના દર્શને ઉમટ્યા ભક્તો

કરોડો ભક્તોની અખંડ આસ્થાના કેન્દ્ર એવા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે પ્રતિવર્ષ કાર્તિકી પૂર્ણિમાની મધ્ય રાત્રીએ અદભુત ખગોળીય સંયોગ રચાય છે. કાર્તિકી પૂર્ણિમાની રાત્રીએ ચંદ્રદેવ, શ્રી સોમનાથ મહાદેવ મંદિર શિખર પરનું ધ્વજદંડ અને શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ એક જ ક્ષિતિજમાં આવે છે.

માનવામાં આવે છે કે, જે સ્થાન પર ચંદ્રદેવને ક્ષય રોગમાંથી શિવજીએ મુક્તિ આપી હતી. તે જ સ્થાન પર શ્રી સોમનાથ મહાદેવનો અભિષેક કરવા માટે પ્રતિવર્ષ કાર્તિકી પૂર્ણિમાની રાત્રીએ ચંદ્ર પોતે પધારે છે, અને પોતાની પ્રભા એટલે કે, પોતાની શીતળ ચાંદનીથી શ્રી સોમનાથ મંદિરનો અભિષેક કરે છે, ત્યારે કરોડો ભક્તોની અખંડ આસ્થાના કેન્દ્ર એવા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ કાર્તિકી પૂર્ણિમાની મધ્ય રાત્રીએ ચંદ્રદેવ, શ્રી સોમનાથ મંદિરના શિખર પરનું ત્રિશુલ ધ્વજદંડ અને શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ એક જ ક્ષિતિજમાં આવ્યા હતા.

આ સંયોગને ભક્તો અમૃત વર્ષા યોગ તરીકે ઓળખે છે. કારણ કે, ભક્તોને પ્રબળ શ્રદ્ધા છે કે, જ્યારે ચંદ્રદેવ પોતાના નાથ સોમનાથ મહાદેવને પોતાની પ્રભા એટલે કે પ્રકાશથી અભિષેક કરવા પધારે છે, ત્યારે આ અમૃત વર્ષાના દર્શન કરનાર દરેક ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ અવસરે ભક્તોએ પોતાના અને પરિવારના કલ્યાણની સાથે વિશ્વના કલ્યાણની સોમનાથ મહાદેવને પ્રાર્થના કરી હતી. આ સાથે જ દેશ વિદેશમાંથી આવનાર ભક્તો દ્વારા “હર હર મહાદેવ” અને “જય સોમનાથ”ના નાદથી શ્રી સોમનાથ મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.

Next Story