કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ધનુર્માસ નિમિત્તે ઉજવણી
કષ્ટભંજન હનુમાનજીના સિંહાસનને દિવ્ય શણગાર કરાયો
કષ્ટભંજન દાદાને પરંપરાગત આકર્ષક વાઘા ધારાવાયા
સિંહાસનને ‘ગામડાની ઝાંખી’ના શણગાર સાથે સુશોભિત કરાયું
ભગવાનના દિવ્ય શણગારના દર્શન કરી ભાવિકો ધન્ય થયા
બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રી કષ્ટભંનજન દાદાને પરંપરાગત વાઘા તેમજ સિંહાસનને ‘ગામડાની ઝાંખી’નો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
શ્રી સ્વામિનારાયણ મંદિર-વડતાલધામ સંચાલિત બોટાદ જિલ્લામાં આવેલ વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે તા. 27મી ડિસેમ્બર-2025, શનિવારના રોજ પવિત્ર ધનુર્માસ નિમિત્તે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને વિશેષ ભક્તિમય વાતાવરણમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.
શ્રી કષ્ટભંજનદેવને પરંપરાગત અત્યંત આકર્ષક વાઘા ધરાવવામાં આવ્યા હતા. આ સાથે જ દાદાના સિંહાસનને ‘ગામડાની ઝાંખી’ સાથે સુશોભિત કરવામાં આવ્યું હતું. જેમાં ઘાસના છાપરાવાળું ઝૂંપડું, માટીના ઘર પર કરવામાં આવેલી સુંદર લિપણ-ભાત (વારલી આર્ટ), ગાયોના શિલ્પો અને ગ્રામીણ જીવનની પ્રતિકૃતિઓ દ્વારા હનુમાનજીના સાન્નિધ્યમાં જાણે જીવંત ગામડું ખડું થયું હોય તેવો ભાસ થતો હતો.
સાળંગપુરમાં વિરાજિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે વિવિધ ચીજવસ્તુઓથી શણગાર કરવામાં આવે છે, ત્યારે વહેલી સવારે પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી તેમજ કોઠારી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. જોકે, પવિત્ર ધનુર્માસ નિમિત્તે સમગ્ર મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડેઠઠ ભરાઈ ગયું હતું, આ તકે મંદિર પરિસરમાં હનુમાન ચાલીસા યજ્ઞનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ અલૌકિક દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.