વલસાડ જિલ્લામાં હાઇવે પર ટોલ ટેક્સમાં વધારા મુદ્દે વિરોધ 

ટ્રાન્સપોર્ટર  એસોશિએશન દ્વારા ભાવ વધારા મુદ્દે રોષ 

હાઇવે પર પડેલા ખાડા અને અસુવિધા સામે નારાજગી 

ટ્રાન્સપોર્ટર એસોશિએશનની મળી બેઠક 

સરકાર અને એજન્સીમાં રજૂઆત કરવા અંગે લેવાયો નિર્ણય 

વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર ટોલ ટેક્સમાં વધારો કરવાની હિલચાલ મુદ્દે ટ્રાન્સપોર્ટરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. હાઇવે પર પડેલા ખાડા અને અસુવિધાઓ સામે પણ તેઓ રોષ વ્યક્ત કરી રહ્યા છે.
વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ટોલ ટેક્સમાં વધારો કરાવવાની હિલચાલ ચાલી રહી હોવાની ટ્રાન્સપોર્ટરોમાં ચર્ચા ઉઠવા પામી છે. જેના કારણે જિલ્લાના ટ્રાન્સપોર્ટરોમાં રોષ વ્યાપ્યો છે. મહત્વપૂર્ણ છે કે વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બગવાડા ટોલ ટેક્સ છે. જ્યાંથી પસાર થતા વાહનો પાસેથી તોતિંગ ટોલ  ટેક્સ વસૂલવામાં આવે છે. જોકે વરસાદની મોસમના ચાર મહિના આ હાઇવે ખાડા હાઇવે બની ગયો હોય તેવા દ્રશ્યો સર્જાય છે. હાઇવે પર મોટા ખાડા પડી ગયા હોવાથી અવારનવાર અકસ્માત સર્જાય છે.અને ઇંધણના વ્યયની સાથે  ભારે વાહનોમાં નુકસાન પણ થાય છે. આથી વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટરોમાં ભારે રોષ વ્યાપ્યો છે.જોકે તેમ છતાં હવે ફરી એક વખત ટોલ ટેક્સમાં વધારો કરવાની હિલચાલ ચાલી રહી હોવાથી વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા એક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ભાવ વધારાના થઈ રહેલ  હિલચાલનો વિરોધ કર્યો હતો. અને ખરાબ હાઇવે મામલે સરકાર અને એજન્સી પર રોષ વ્યક્ત કર્યો હતો.