/connect-gujarat/media/media_files/2025/02/12/P5HrnW28XUIoGEmpZwaS.jpg)
રાજ્ય સરકાર દ્વારા 9 ફેબ્રુઆરીએ લેવામાં આવેલી નર્સિંગ ભરતીની પરીક્ષાની આન્સર કી જાહેર કરવામાં આવતા જ વિવાદ સર્જાયો છે. આન્સર કીમાં દરેક પ્રશ્નના જવાબ એબીસીડી ક્રમમાં આવતા હોવાના કારણે પરીક્ષાર્થીઓએ સોશિયલ મીડિયામાં સવાલો ઉઠાવતા કોંગ્રેસે પણ આ મુદ્દે ઝંપલાવ્યું છે અને તપાસની માંગ કરી છે. તો બીજી તરફ જીટીયુ દ્વારા આ મામલે સ્ટાફ નર્સ પરીક્ષાનું પેપર કાઢનાર એક્સપર્ટ પાસે જવાબ માંગવામાં આવ્યો છે.
પરીક્ષામાં પ્રશ્નપત્ર-1- અને પ્રશ્નપત્ર-2 એમ બે પ્રકારના વિષયોના પ્રશ્નપત્રો હતા.આ પ્રશ્નપત્રોમાં પ્રશ્નોના ક્રમ બદલવાની તેની પેટર્ન એબીસીડી રાખવામાં આવી હતી. આ પેટર્નમાં પ્રશ્નપત્ર-2ના ડી પ્રકારના પ્રશ્નપત્રમાં જવાબ એબીસીડી એટલે કે,પ્રશ્ન નંબર-1નો જવાબ એ,પ્રશ્ન-2નો જવાબ બી,પ્રશ્ન-3નો જવાબ સી અને પ્રશ્ન-4નો જવાબ ડી. આ પછી પ્રશ્ન-5નો જવાબ એ,પ્રશ્ન-6નો જવાબ બી,પ્રશ્ન-7નો જવાબ સી અને પ્રશ્ન-8નો જવાબ ડી એમ ક્રમવાર આવે છે. ઉમેદવારોનું કહેવું એવું છે કે,કોઈપણ ઉમેદવાર 12 થી 16 પ્રશ્નો ઉકેલે એટલે તેને ખ્યાલ આવી જાય કે આમા પેટર્ન એબીસીડી છે એટલે આંખો મીચીને તે એબીસીડી તમામ પ્રશ્નોના જવાબ આપી શકે. આથી આ શંકાસ્પદ બાબત છે.
સ્ટાફ નર્સની પરીક્ષામાં 1903 જગ્યા પર 53 હજાર ઉમેદવારે પરીક્ષા આપી હતી.આરોગ્ય કમિશનર હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, પરીક્ષા જીટીયુએ લીધી હતી. એટલે અમે તપાસ કરવાના આદેશ આપ્યા છે. ઉમેદવારોને અન્યાય થશે નહીં તેવી તેમણે ખાતરી આપી હતી.