Connect Gujarat
મનોરંજન 

ગુજરાતી સિનેમાના દિગ્ગજ એક્ટર અરવિંદ રાઠોડનું અવસાન, છેલ્લાં ઘણાં સમયથી બીમાર હતા

ગુજરાતી સિનેમાના દિગ્ગજ એક્ટર અરવિંદ રાઠોડનું અવસાન, છેલ્લાં ઘણાં સમયથી બીમાર હતા
X

ગુજરાતી સિનેમાના દિગ્ગજ એક્ટર અરવિંદ રાઠોડનું 80 વર્ષની ઉંમરે આજે (1 જુલાઈ) નિધન થયું છે. તેઓ છેલ્લાં ઘણાં સમયથી અમદાવાદમાં રહેતા હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને કોઈના પણ સંપર્કમાં નહોતા. અમદાવાદમાં તેઓ પાલડી ખાતે રહેતા હતા. અરવિંદ રાઠોડ ફોટો-જર્નલિસ્ટમાંથી એક્ટર બન્યા હતા. તેમણે ગુજરાતી તથા હિંદી બંને ફિલ્મમાં કામ કર્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતી સિનેમામાં અરવિંદ રાઠોડ મોટે ભાગે વિલનનો રોલ પ્લે કરતા હતા.

અરવિંદ રાઠોડના પિતા દરજીકામ કરતા હતા, જોકે તેમણે પિતાનો વ્યવસાય ન કરવાનો નિર્ણય કર્યો હતો. સ્કૂલ તથા કોલેજમાં એક્ટિંગક્ષેત્રે અનેક ઈનામો મેળવનાર અરવિંદ રાઠોડે નાટકમાં કામ કર્યું હતું. તેમણે બોલિવૂડ-ગુજરાતી એક્ટ્રેસ અરુણા ઈરાનીના પિતા એફ. આર. ઈરાનીના નાટક 'મોટા ઘરની વહુ'માં કામ કર્યા બાદ અમદાવાદમાં કેટલાંક નાટકોમાં કામ કર્યું હતું.1967-68માં વિનોદ જાનીના નાટક 'પ્રીત પિયુ ને પાનેતર'માં કામ કરવાને કારણે મુંબઈ આવ્યા હતા. અહીં ફોટો-જર્નલિસ્ટ તરીકે કામ કરતા અને રાજ કપૂરે ફિલ્મ 'મેરા નામ જોકર'માં નાનકડી ભૂમિકા આપી હતી.

આ રીતે અરવિંદ રાઠોડ બિગ સ્ક્રીન સાથે જોડાઈ ગયા હતા. અરવિંદ રાઠોડે 70ના દાયકામાં એક્ટિંગ કરિયર શરૂ કરી હતી. તેમણે 'જ્હોની ઉસકા નામ', 'બદનામ ફરિશ્તે', 'મહાસતી સાવિત્રી', 'કોરા કાગઝ', 'ભાદર તારા વહેતા પાણી', 'સોન કંસારી', 'સલામ મેમસાબ', 'ગંગા સતી', 'મણિયારો', 'જાગ્યા ત્યારથી સવાર', 'મા ખોડલ તારો ખમકારો', 'મા તેરે આંગન નગારા બાજે', 'અગ્નિપથ', 'ખુદા ગવાહ', 'અબ તો આજા સાજન મેરે' સહિત 250થી વધુ ફિલ્મમાં કામ કર્યું હતું.

Next Story