મલયાલમ ફિલ્મ અને ટીવી એક્ટર દિલીપ શંકર આજે સવારે એક હોટલમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેઓ તિરુવનંતપુરમમાં વનરોઝ જંકશન પાસેની એક હોટલમાં રોકાયા હતા. તેમના નિધનથી મલયાલમ ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. તેમના નિધનથી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તેમના મિત્રો અને ચાહકો આઘાતમાં છે. રિપોર્ટ અનુસાર, હોટલના એક સ્ટાફે તેમને હોટલના રૂમમાં મૃત જોયા અને તરત જ પોલીસને ફોન કર્યો હતો. પોલીસે ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળે છે. ઘણા અહેવાલો કહે છે કે દિલીપ ચાર દિવસ પહેલા 'પંચાગ્નિ' નામના ટીવી શોના શૂટિંગ માટે તિરુવનંતપુરમની એક હોટલમાં રોકાયા હતા.
દિલીપ શંકર એર્નાકુલમમાં રહે છે. હોટલના સ્ટાફે જણાવ્યું કે તે બે દિવસથી તેના રૂમમાંથી બહાર નિકળ્યા નથી. રવિવારે સવારે રૂમમાંથી આવતી દુર્ગંધને કારણે હોટલના સ્ટાફે રૂમમાં પ્રવેશ કર્યો અને તેમને મૃત હાલતમાં જોયા. તેમણે પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તિરુવનંતપુરમ એસીપીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે ફોરેન્સિક ટીમે રૂમની તપાસ કરી છે અને પોસ્ટમોર્ટમ પછી વધુ માહિતી આપવામાં આવશે.
પોલીસના જણાવ્યા અનુસાર, શોમાં દિલીપ સાથે કામ કરી રહેલા દિગ્દર્શકે કહ્યું કે શૂટિંગમાં બે દિવસનો બ્રેક હતો અને આ દરમિયાન દિલીપે તેના કે તેના કોઈ પણ કો-એક્ટરના કોલનો જવાબ આપ્યો ન હતો. દિગ્દર્શકે તેમને એમ પણ કહ્યું કે દિલીપ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પીડિત છે.