/connect-gujarat/media/media_files/2025/05/11/cqJIrkfqrHcqCSacPi9B.jpg)
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના સંઘર્ષ બાદ, ભારતીય સેનાએ પાકિસ્તાનને થયેલા નુકસાનનો આંકડો જાહેર કર્યો છે. ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ જણાવ્યું કે, ભારતીય કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાને નોંધપાત્ર જાનહાનિ અને માળખાકીય નુકસાન થયું છે.
પહેલગામમાં ૨૬ નિર્દોષ પ્રવાસીઓની ક્રૂર હત્યા બાદ સમગ્ર દેશમાં વ્યાપેલા ગુસ્સા અને આતંકવાદ સામે રાષ્ટ્રીય જવાબ આપવાના સંકલ્પ સાથે ભારતીય સશસ્ત્ર દળોએ 'ઓપરેશન સિંદૂર' હાથ ધર્યું હતું. આ ઓપરેશન હેઠળ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર કરવામાં આવેલા હુમલાઓમાં થયેલા વિનાશની વિગતો આજે ભારતીય સેનાના ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરી હતી. આ પત્રકાર પરિષદમાં ડીજી એર ઓપરેશન્સ એર માર્શલ અવધેશ કુમાર ભારતી અને ડીજી નેવલ ઓપરેશન્સ એએન પ્રમોદ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ જણાવ્યું હતું કે, "આતંકવાદીઓના આ ક્રૂર કૃત્યથી સમગ્ર દેશમાં ગુસ્સો છે અને સમય આવી ગયો છે કે આપણે એક રાષ્ટ્ર તરીકે તેમનો જવાબ આપવો જોઈએ." તેમણે સ્પષ્ટ કર્યું કે આતંકવાદીઓ અને તેમના ઠેકાણાઓનો નાશ કરવાના સ્પષ્ટ ઉદ્દેશ્ય સાથે 'ઓપરેશન સિંદૂર' શરૂ કરવામાં આવ્યું હતું.
ડીજીએમઓએ જણાવ્યું હતું કે 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર થયેલા હુમલામાં લગભગ ૧૦૦થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ઠાર કરાયેલા આતંકવાદીઓમાં યુસુફ અઝહર, અબ્દુલ મલિક રૌફ અને મુદાસિર અહેમદ જેવા કુખ્યાત આતંકવાદીઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, ૪ થી ૧૦ મે દરમિયાન નિયંત્રણ રેખા (LoC) પર યુદ્ધવિરામના ઉલ્લંઘન બાદ થયેલા ગોળીબારમાં ૩૫ થી ૪૦ પાકિસ્તાની સેનાના જવાનો પણ માર્યા ગયા હોવાની માહિતી તેમણે આપી હતી.