ભરૂચ જિલ્લાના દહેજના પાદરિયાગામ નજીકથી પસાર થતી ઓ.એન.જી.સી. ની ગેસ લાઈનમાં આજરોજ રાત્રીના સમયે એકાએક આગ ફાટી નીકળી હતી. આગની પ્રચંડ જ્વાળાઓના પગલે આસપાસના વિસ્તારોમાં દોડધામ મચી જવા પામી હતી.
બનાવની જાણ થતા જ ઓ.એન.જી.સી.અને ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તાત્કાલિક ગેસ સપ્લાય બંધ કરાવી આગ પર કાબુ મેળવાયો હતો.આગ કયા કારણોસર લાગી એ જાણી શકાયું નથી. સેફટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા બનાવની તપાસ કરવામાં આવી રહી છે.તાજેતરમાં સુરતમાં ઓ.એન.જી.સી.ની લાઇનમા આગ બાદ દહેજમાં પણ આવી જ ઘટના બનતા અધિકારીઓ દોડતા થયા હતા જો કે ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવતા સૌ એ રાહતનો શ્વાસ લીધો હતો.