ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ વરસતા જનજીવનને રાહત મળી છે. જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હોવાનું જિલ્લા વહીવટી તંત્રના અહેવાલમાં જણાવાયું છે. વાગરા તાલુકામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વાલિયામાં 2.5 ઇંચ, ઝઘડિયા, અંકલેશ્વર અને નેત્રંગમાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો હતો.

હાંસોટમાં 1.5 ઇંચ તેમજ આમોદ અને ભરૂચ તાલુકામાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો છે. જંબુસરમાં 8 મી.મી. વરસાદ નોંધાયો હતો.જિલ્લાભરમાં પડેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે તેમજ નદી-નાળા અને જળાશયોમાં પાણીની આવકમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ જિલ્લામાં કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી.