ગીર સોમનાથના વેરાવળમાં વેપારીની જમીનમાં આઠ વર્ષથી ગેરકાયદેસર કબ્જો જમાવનાર શખ્સ સામે લેન્ડ ગ્રેબીગનો ગુનો નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે
ગીર સોમાનથના બાયપાસ પર તાલાલા ચોકડીએ આવેલી વેપારીની આઠ વિઘા જમીન ઉપર આઠેક વર્ષથી ગેરકાયદેસર કબ્જો જમાવી બેઠેલા શખ્સ સામે જીલ્લા કલેકટરના આદેશ બાદ પોલીસે લેન્ડ ગ્રેબીગ એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગીર સોમનાથના વેરાવળના અને હાલ અમદાવાદ રહેતા વેપારી ગયાનચંદભાઈ ભાનુશાળી અને તેમના પરીવારજનોની અહીંના બાયપાસની તાલાલા ચોકડી રોડ ઉપર આવેલી રે.સર્વે નં.547 વાળી આઠ વિઘા જમીન ઉપર ભાલપરા ગામના હિતેશ પટાટ નામના ઇસમે 2016 થી ગેરકાયદેસર રીતે કબ્જો કરી લીધો હતો.
જેથી વેપારી ગયાનચંદભાઈએ ઘણી વખત પોતાની જમીનનો કબ્જો ખાલી કરી દેવા હિતેશભાઈને સમજાવટ કરતા હોવા છતાં તેઓ માનતા ન હતા.જેથી વેપારી ગયાનચંદભાઈએ ગત તા.6/6/24 ના રોજ જીલ્લા કલેકટર સમક્ષ લેન્ડ ગ્રેબીગ હેઠળ કાર્યવાહી કરવા અરજી કરી હતી.
જેની તપાસમાં વેપારીની માલિકીની જમીન ઉપર હિતેશ પટાટએ કબ્જો કરેલ હોવાનું પ્રસ્થાપિત થયુ હતુ. જેના આધારે જીલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ લેન્ડ ગ્રેબીગ હેઠળ ગુનો નોંધવા આદેશ કરેલ હતો. જેના આધારે પ્રભાસપાટણ પોલીસે વેપારીની ફરીયાદની વિગતોના આધારે ભાલપરાના હિતેશ પટાટ સામે લેન્ડ ગ્રેબીગ એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
