આગામી તા. ૧લી ઓગસ્ટથી રાજ્ય સમસ્તમા ઉજવાઈ રહેલા સુશાસનના પાંચ વર્ષની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લામા પણ તા. ૧થી ૯ ઓગસ્ટ સુધીના શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું સુચારુ આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.

ડાંગ કલેકટર ભાવિન પંડ્યાના વડપણ હેઠળ રાજ્ય સરકાર દ્વારા મળેલા માર્ગદર્શન અનુસાર ડાંગ જિલ્લામા ઉજવણી કાર્યક્રમના પ્રથમ દિવસે એટલે કે, તા. ૧/૮/૨૦૨૧ના રોજ જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી કરવામાં આવશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મણીલાલ ભુસારા તરફથી મળેલી વિગતો અનુસાર જ્ઞાન શક્તિ દિવસ ઉજવણી કાર્યક્રમ આહવાના ડાંગ દરબાર હોલ ખાતે સવારે ૧૦ કલાકે યોજાશે.

જેમાં જિલ્લામાં તૈયાર થયેલા શાળાઓના નવા ઓરડાઓના લોકાર્પણ, ખાતમુહુર્ત સહીત શિક્ષણ વિભાગના જ્ઞાનકુંજ પ્રોજેક્ટ, આઈ.સી.ટી. લેબના લોકાર્પણ અને ખાતમુહુર્ત જેવા કાર્યક્રમો યોજાશે. રાજ્ય કક્ષાએથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે યોજાનારા વર્ચ્યુઅલ લોકાર્પણ/ખાતમુહુર્ત કાર્યક્રમનું આહવા ખાતે જીવંત પ્રસારણ પણ કરાશે.

ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામાં આ દિવસે આહવાના સરદાર વિદ્યાલયના ૭ ઓરડાનું લોકાર્પણ, જયારે તાલુકા કક્ષાએ બોરખલ, અને મહાલપાડા ખાતે માધ્યમિક શાળાના દસ ઓરડાઓનું લોકાર્પણ હાથ ધરાશે. આ ઉપરાંત ગ્રામ્ય/શાળા કક્ષાએ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને એસ.એસ.સી. શાળા કક્ષાએ ૮ શાળાઓના ૩૮ વર્ગખંડો, ૨ શાળાઓના ૧૪ વર્ગખંડો, ૧૯ શાળાઓમા જ્ઞાનકુંજ પ્રોજેક્ટ તથા માધ્યમિક શાળાઓમા કોમ્પ્યુટરના અદ્યતન શિક્ષણ માટેની ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી આધારિત લેબનુ પણ લોકાર્પણ કરવામાં આવશે.

આમ, જિલ્લામા કુલ ૩૮ સ્થળોએ લોકાર્પણ, અને ખાતમુહૂર્તના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ચાલુ વર્ષથી શિક્ષણ વિભાગ દ્વારા દરેક ક્લસ્ટરમા ઓછામા ઓછી એક શાળા સ્કુલ ઓફ એકસલન્સ બનાવવાની તજવીજ પણ હાથ ધરવામા આવી છે. જે અંતર્ગત ચાલુ વર્ષથી તબક્કાવાર ૪૬ પ્રાથમિક શાળાઓને સ્કુલ ઓફ એકસલન્સ તરીકે વિકસાવવામાં આવનાર હોવાનુ પણ જણાવાયું છે.