મકતમપુર વિસ્તાર સ્થિત ગાયત્રી ફ્લેટની ઘટના
A.1 બ્લોક-ત્રીજા માળની ગેલેરીનો ભાગ ધરાશાયી
ગેલેરી ધરાશાયી થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ
વારંવાર નોટિસ આપવા છતાં કોઈ કાર્યવાહી નહીં
મોટી હોનારત સર્જાય તેવી સેવાય રહી છે ભીતિ
ભરૂચ શહેરના મકતમપુર વિસ્તાર સ્થિત ગાયત્રી કો.ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના A.1 બ્લોકના ત્રીજા માળની ગેલેરીનો ભાગ ધરાશાયી થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.
સમગ્ર રાજ્યમાં ચોમાસુ હવે બરાબરમાં જામ્યું છે, ત્યારે ભરૂચ શહેર તથા જીલ્લામાં પણ મેઘસવારી આવી પહોંચી છે. ગણતરીના કલોકમાં જ ભરૂચમાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. તેવામાં ભરૂચ શહેરના મકતમપુર વિસ્તાર સ્થિત ગાયત્રી કો.ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના A-1 એપાર્ટમેન્ટના ત્રીજા માળની ગેલેરીનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો.
જોકે, આ કાટમાળ એક બાઇક પર પડતા ભારે નુકશાન થયું હતું. સોસાયટીના પ્રમુખ અશ્વિન શાહે જણાવ્યું હતું કે, ગાયત્રી ફ્લેટના A.1 બ્લોકના ત્રીજા માળની ગેલેરી જર્જરીત થતાં ધરાશાયી થઈ છે. જેના કારણે મોટી દુર્ઘટનાની ભીતિ સેવાઇ રહી છે. સોસાયટી કમિટી દ્વારા તેમને 5 વાર રિનોવેશન અથવા ઉતારી લેવા નોટિસ આપવામાં આવી છે. તો બીજી તરફ, નગરપાલિકાએ પણ 3 વાર નોટિસ આપી છે, છતાં ફ્લેટના માલિકો ઇમારતના રીપેરીંગ માટે કોઈ પગલાં ભરતા નથી. ઉપરાંત 80% મકાન માલિકો અન્ય રહેવા જતા રહ્યા છે, અને તેમના ફ્લેટ ભાડેથી આપ્યા છે, ત્યારે ભારે વરસાદમાં કોઈ મોટી હોનારત સર્જાય તેવી સોસાયટીના રહેવાસીઓમાં ભીતિ સેવાઈ રહી છે.