કરચલિયાપરા વિસ્તારમાં હત્યાની ઘટનાથી ચકચાર
બાઇક ધીમું ચલાવવા જેવી નાનકડી તકરારમાં હત્યા
2 ભાઈઓએ છરીના ઘા ઝીંકી યુવકને ચીરી નાંખ્યો
ગંભીર ઇજાના પગલે સારવાર દરમ્યાન યુવકનું મોત
પોલીસે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી
ભાવનગર શહેરના કરચલિયાપરા વિસ્તારમાં બાઇક ધીમું ચલાવવા જેવી નાનકડી તકરારમાં થયેલી હત્યાની કરૂણ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે, ત્યારે હાલ તો પોલીસે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગર શહેર તથા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય એમ ત્રણ દિવસમાં હત્યાનો બીજો બનાવ સામે આવ્યો છે.
ગત મોડીરાત્રે શહેરના કરચલિયા પરા વિસ્તારમાં ઘરની બહાર પરિવાર સાથે બેસેલા રોહિત બારૈયાએ માત્ર એટલુ જ કહ્યું કે "બાઈક ધીમું ચલાવો..." પણ તેનું પરિણામ એટલું ભયાનક નીકળ્યું કે, જે સાંભળીને પણ હૃદય કમ્પાય જાય.
બાઈક ચાલક ગૌતમ પરમારએ રોહિત બારૈયાને ધમકી આપી જતા રહ્યા બાદ પોતાના ભાઈ યુવરાજ સાથે બાઇક પર પરત આવી બન્ને ભાઈઓએ સાથે મળી છરીના ઘા ઝીંકી રોહિત બારૈયાને ચીરી નાંખ્યો હતો.
રોહિત બારૈયાને બચાવવા આવતા પરિવારજનો ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતું. જેમાં મહિલાઓ અને અન્ય સગા પણ છરીના ઘા સાથે ઇજાગ્રસ્ત બન્યા હતા.
આ તરફ, છાતી સહિત શરીરના અન્ય ભાગે ગંભીર ઘા વાગી જતાં રોહિત બારૈયાનું સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું હતું. માત્ર બાઈક ધીમું ચલાવવાની નમ્ર વાતના બદલામાં ખૂની ખેલ ખેલાય શહેરમાં કાયદો અને વ્યવસ્થાની ભયજનક હકીકત સામે આવી છે, ત્યારે હાલ તો પોલીસે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.