અમદાવાદ શહેર પોલીસ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ પર નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેર પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓએ પેટ્રોલિંગ દરમ્યાન સુરક્ષાની ચકાસણી કરી હતી.
અમદાવાદ શહેરના જગન્નાથ મંદિરેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી સુદ બીજના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા ધૂમધામથી નીકળવાની છે, ત્યારે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે. આથી, કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને શાંતિમય માહોલમાં રથયાત્રા નીકળી શકે તે માટે ચુસ્ત સુરક્ષાના ભાગરૂપે અમદાવાદ પોલીસ તંત્ર, ક્રાઇમ બ્રાન્ચ, સાઇબર ક્રાઇમ અને SOG પોલીસ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આ વખતે નીકળનારી ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાને લઇ અમદાવાદમાં જમાલપુર જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે, જે હેઠળ રથયાત્રાના સંવેદનશીલ વિસ્તાર અને રૂટ પર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફુટ પેટ્રોલિંગ, 3D મેપિંગ, AI સહિત અનેક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રૂટની સાથે જ અલગ અલગ વિસ્તારોમાં 1500થી વધુ CCTV કેમેરા, પોલીસ જવાનો પાસે પોકેટ કેમેરા અને ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે. માહિતી મુજબ, ભગવાન જગન્નાથજી મંદિર, સરસપુર અને પોળોના થ્રીડી મેપ બનાવવામાં આવનાર છે.