Connect Gujarat
ગુજરાત

અમરેલી : માદરે વતનનું ઋણ ચૂકવવા સુરતના ઉદ્યોગપતિનો 1-2 નહી પણ 22 ચેકડેમો સ્વખર્ચે બાંધવાનો ધ્યેય...

માદરે વતનનું ઋણ ચૂકવવા બાલુભાઈ કાનાણી અને ચતુરભાઈ કાનાણી નામના 2 ભાઇઓએ બીડું ઝપડ્યું છે

X

રાજ્ય સરકાર દ્વારા ઉનાળાના સમયમાં જળ સંચયના કામો કરી જળ સંગ્રહ થકી પીવાના પાણીના તળ સાથે ખેતીના તળ ઊંચા અવે તેવા પ્રયાસો કરવામાં આવે છે, ત્યારે અમરેલી જિલ્લાના એક ગામડામાં માદરે વતનનું ઋણ ચૂકવવા સુરતના ઉદ્યોગપતિએ વતનમાં હરિત ક્રાંતિ લાવવાના ધ્યેય સાથે સ્વખર્ચે 22 ચેકડેમો બાંધવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે.

આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના છેવાડાનું ગામ વીરડી. 2100ની વસ્તી ધરાવતા વીરડી ગામમાં JCB અને ટ્રેકટરો માટી ભરીને હડીયા પાટી કરતા નજરે ચડી રહ્યાં છે. તેનું મુખ્ય કારણ વીરડી ગામમાં એક નહિ બે નહિ, પણ એક સાથે 22 તળાવોના પાળા બાંધવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. જેમાં ગામના પાણીના તળ મજબૂત થાય અને હરિત ક્રાંતિ વીરડી ગામ સહિત આજુબાજુના 15 જેટલા ગામડાઓ આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહિ, જગતના તાત પાણી વગરના ઓશિયાળા ન રહે અને બારે માસ ખેતી માટે વીરડી સહિતના આજુબાજુના ખેડૂતો હાલ માટી લઈને પોતાના ખેતરોમાં નાખી રહ્યા છે.

વીરડી ગામની બાજુ માંથી બે બે નદીઓ ચોમાસામાં વહેતી હોય અને નદી કાંઠે 22 જેટલા ચેકડેમો હાલ બંધાઈ રહ્યા છે, ત્યારે 10 જેટલા ચેકડેમો હાલ બંધાઈ ચૂક્યા છે, અને સ્વખર્ચે વીરડી ગામને હરિત ક્રાંતિ કરાવવા સુરતના ઉદ્યોગપતિ અને માદરે વતનનું ઋણ ચૂકવવા બાલુભાઈ કાનાણી અને ચતુરભાઈ કાનાણી નામના 2 ભાઇઓએ બીડું ઝપડ્યું છે. તેઓ છેલ્લા 5 વર્ષથી વીરડી ગામમાં આવીને ઉનાળાના સમયે પણ ચેકડેમો બાંધી રહ્યા છે.

જોકે, સુરતમાં રહીને પણ વતનનું રતન બાલુભાઈ કાનાણી આજે વીરડી ગામે JCB પર ચઢીને ચેકડેમોના પાળા બાંધી રહ્યા છે. સરકાર દ્વારા જળ સંચયમાં કરોડો રૂપિયા વાપરીને જળ એ જ જીવન માટે અભીયાન શરૂ કરવામાં આવ્યું છે. પણ વીરડીના ભામાશા દ્વારા સ્વખર્ચે 22 તળાવો બાંધવાની કામગીરીની સરકાર નોંધ લઈને ગામડાને ગોકુળિયું બનાવવા મથતા કાનાણી બંધુઓની સ્વખર્ચે હરિયાળી ક્રાંતિ લાવવાના ધ્યેયને વધાવે તો સોનામાં સુગંધ ભળે તેમ છે. તો વીરડી ગામ સાથે આજુબાજુના ગામના ખેડૂતોને મીઠું પાણી વાડી અને ખેતરોમાં લઇ જાય તેવા ધ્યેયને સાર્થક કરવા દિવસ રાત એક કરતા ઉદ્યોગપતિ છેલા 5 વર્ષથી અહી આવી કાચા ચેકડેમો બાંધીને ગામનું પાણીનું તળ ઊંચું લાવી દીધું હોવાનો ખુશીઓ ખેડૂતોએ વ્યક્ત કરી હતી.

વીરડી ગામે પહેલા 180 ફૂટ પાણી હતું, જયારે આજે નદીઓ પર માટી કાઢીને પાળા બંધાઈ રહ્યા હોય તે માટે 20 ફૂટ નદીઓમાં પાણી સ્પષ્ટ નજરે પડતું હોય, ત્યારે જળ એ જીવન છે અને જળ થકી ક્રાંતિ લાવવાના કાનાણી બંધુના પ્રયત્નોને વીરડી વાસીઓ હરખભેર વધાવી રહ્યા છે. 2 દિવસ પહેલા સ્થાનીક ધારાસભ્ય મહેશ કસવાલાએ વીરડી ગામની મુલાકાત લીધી, ત્યારે સ્થાનિકો દ્વારા કાચા ચેકડેમો પાકા બને તો કાયમી નિરાકરણ થાય તેવો સૂર વ્યક્ત કર્યો હતો, ત્યારે ધારાસભ્ય દ્વારા સરકારમાંથી પાકા ચેકડેમો બાંધીને જળ સિંચન થાય તેમાં સહભાગી થવાની ખાત્રી આપી હતી. વીરડીના રાજવી અને પૂર્વ સરપંચે પણ કાનાણી બંધુની ગામ પ્રત્યેની હરિત ક્રાંતિની ભાવનાઓને વધાવી સરાહના કરવામાં આવી હતી.

Next Story