New Update
/connect-gujarat/media/media_files/2025/04/20/GQwdcd4yENLEJRZEJfkj.jpg)
અંજાર ખાતે ગુજરાતની પ્રથમ નંદી શાળામાં 700 નંદીઓને ગરમીમાં ઠંડક આપતા વિશિષ્ટ ફળ 8000 કિલો તરબૂચ અને સક્કરટેટી ખવડાવવામાં આવ્યા હતા.
અંજારમાં ગુજરાતની પ્રથમ નંદીશાળામાં ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે 700 નંદીઓને ઠંડક અને આરોગ્ય માટે વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું.સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત પ.પુ. ત્રિક્મદાસજી મહારાજના સાનિધ્યમાં યોજાયેલ આ સેવા યજ્ઞ અંતર્ગત નંદીઓને ઠંડા ફુવારા વચ્ચે લગભગ 8000 કિલોગ્રામ તરબૂચ અને સક્કરટેટી ખવડાવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, અંજારની આ નંદીશાળા માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં પણ વિશિષ્ટ માન્યતા ધરાવે છે. અહીં ગૌસેવાના આધ્યાત્મિક તેમજ વૈજ્ઞાનિક પાસાઓને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ કાર્યક્રમ દરમિયાન નંદીઓ માટે ઠંડા પાણીના ફુવારા, સ્પ્રે, અને વિશેષ ભોજન વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી હતી.જેથી તેઓ ગરમીથી આરામ અનુભવી શકે.
સંસ્થાના મહંત પ.પુ. ત્રિક્મદાસજી મહારાજે જણાવ્યું કે, “ગૌમાતા એ આપણી સંસ્કૃતિ અને જીવનશૈલીનો આધાર છે. તેમની સેવામાં જે આનંદ છે, તે કોઈ અન્ય કાર્યમાં નથી.”
આ પ્રસંગે મોટી સંખ્યામાં સેવકો,હિન્દુ યુવા સંગઠનના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ગૌસેવામાં પોતાની સહભાગીતા નોંધાવી હતી. આ રીતે અંજારની નંદી શાળાએ ફરી એક વખત ગૌસેવાની ભાવનાને સાકાર કરી અને સમસ્ત ગુજરાત માટે ઉદાહરણરૂપ કાર્ય પૂરું પાડ્યું છે.