કચ્છી નવા વર્ષ તરીકે, દેશના ખુણે ખુણે વિસ્તરેલા કચ્છીઓ માટે આજે અષાઢી બીજનો દિવસ ખૂબ જ મહત્વનો હોય છે. ‘કચ્છી નયે વરે અષાઢી બીજ, જો મેડે કચ્છી ભા ભેણે કે લખ લખ વધાઇયુ..’ સાથે કચ્છીઓ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે.
અષાઢી બીજ એટલે કે કચ્છી નવું વર્ષ. કચ્છમાં અષાઢી બીજને નવા વર્ષ તરીકે લોકો ઉજવે છે. એક સમય હતો, જ્યારે કચ્છમાં રાજાશાહી સમયમાં તેની ધામધૂમપૂર્વકની ઉજવણી થતી, વિશાળ યાત્રા નીકળતી, રાજાને મળવા માટે દરબાર ભરાતો, જે ઉજવણી આજે ફીકી પડી છે. આજે પણ ઘણા કચ્છીઓ દેશ-વિદેશથી પણ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી અષાઢી બીજની નવા વર્ષ તરીકે ઉજવણી કરે છે. અષાઢી બીજનો ઇતિહાસ જામ રાયધણજીના કચ્છ વિજય સાથે જોડાયેલા ઇતિહાસની પુંજાજી ચાવડાના શાસન સમયે જામ રાયધણજીએ તેમની પાસેથી શાસન લીધું અને ગુરુ ગોરખનાથે તેને અષાઢી બીજના દિવસે ગુરુમંત્ર આપ્યો હોવાથી આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી થયું. જોકે, તેની કથામાં પણ વરસાદની વાત છે.
જોકે, તે માત્ર ઇતિહાસ છે. પરંતુ ત્યારબાદના રાજવીઓ ભુજની સ્થાપના સમયથી આ દિવસને નવા વર્ષ તરીકે મનાવે છે, અને તે ઇતિહાસના પાના પર લખાયેલુ છે. તો કેટલાક ઇતિહાસકારો આ નવા વર્ષની ઉજવણીની પરંપરાને તેનાથી પણ જૂની કહે છે. દેશવટો ભોગવી કચ્છના કુશળ શાસક લાખો ફુલાણી દેશવટો ભોગવી કચ્છ પરત ફર્યા અને તે દિવસે કચ્છમાં મનભરીને વરસાદ વરસ્યો અને તરસ્યા કચ્છના લોકો આનંદિત થઈ આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું, તેના પણ ઇતિહાસમાં કેટલાક દાખલા છે. દરિયાખેડુ અને ખેડૂતો પણ આ કચ્છી નવા વર્ષના ઇતિહાસ સાથે સંકળાયેલા છે. દરિયાખેડુઓ આ દિવસો દરમ્યાન દરિયો ખેડીને પાછા આવતા હોવાથી પણ તેમના પરિવારમાં ખુશી છવાય છે. તો ખેડૂતો આ દિવસો દરમિયાન ખેતીના મંડાણ કરતા હોવાથી પણ આ દિવસ વિશેષ બને છે. અષાઢી બીજના દિવસે જો વરસાદ આવે તો આ અષાઢી બીજની ઉજવણી વિશેષ બને છે. કચ્છ હોય કે, કચ્છ બહાર જ્યાં જ્યાં કચ્છીઓ વસે છે, ત્યાં આજે અષાઢી બીજના દિવસે નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે. આજે પણ લોકો એક બીજાને કચ્છી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે, અને પ્રાર્થના કરે છે કે, ‘કચ્છડો બારે માસ રહે અને કુદરતની મહેર કચ્છ પર કાયમ રહે’. નવા વર્ષે લોકો એકબીજાને મોઢું મીઠું કરાવે છે, ત્યારે આ પરંપરા આજે પણ જળવાયેલી જોવા મળી છે.