અમીરગઢના ખુણીયા નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત
રાજસ્થાનની સરકારી બસ અને બોલેરો વચ્ચે અકસ્માત
અકસ્માતમાં 5 લોકોના મોત, જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત
ગંભીર અકસ્માતના પગલે હાઇવે પર સર્જાયો ટ્રાફિકજામ
અકસ્માત મામલે અમીરગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના ખુણીયા ગામ નજીક રાજસ્થાનની એસટી. બસ અને બોલેરો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા હાઈવે મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. ગમખ્વાર અકસ્માતમાં ઘટના સ્થળે 2 બાળકો, 2 મહિલા સહિત કુલ 5 લોકોના કરુણ મોત નિપજ્યા હતા. અકસ્માત બાદ બોલેરો કારનું પડીકું વળી જતા JCBની મદદ લેવી પડી હતી. જેમાં મૃતદેહો અને ઇજાગ્રસ્તોને બહાર કાઢવા ભારે મથામણ કરવી પડી હતી. આ અકસ્માતમાં ઘાયલ થયેલા 10 જેટલા લોકોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં 3 બાળકોને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા જ અમીરગઢ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં ટ્રાફિક વ્યવસ્થા સંભાળીને વાહન વ્યવહાર રાબેતા મુજબ કરાવ્યો હતો. જોકે, હાલમાં મૃતકોની ઓળખ થઈ ન હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ, બોલેરો કારમાં સવાર લોકો અમીરગઢ તાલુકાના ધનપુરા-વિરમપુર ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે મૃતકોમાં દિલીપ ખોખરીયા, સુંદરીબેન સોલંકી, મેવલીબેન દિલીપભાઈ, રોહિત ખોખરીયા અને ઋત્વિક ખોખરીયાના નામનો સમાવેશ થાય છે. તો બીજી તરફ, ગમખ્વાર અકસ્માતમાં 2 બાળકો સહિત 5 લોકોનું પ્રાણ પંખેરુ ઉડી જતા સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી મળ્યું છે.