ગૌમાંસના વેચાણના રેકેટનો પર્દાફાશ
રૂપેણ બંદરમાંથી ઝડપાયું ગૌમાંસ
માતા-પુત્ર સહિત ત્રણની ધરપકડ
ઘટનાને પગલે હિન્દુ સંગઠનોમાં રોષ
પોલીસે વધુ તપાસ શરૂ કરી
દેવભૂમિ દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં પોલીસ દ્વારા ગૌમાંસના ગેરકાયદે વેચાણ પર મોટો પ્રહાર કરવામાં આવ્યો છે. રૂપેણ બંદરના શાંતિનગર દાતારી ચોકમાં રહેતા સલમાબેન ભાડેલા અને તેમનો પુત્ર વસીમ પોતાના રહેણાંક મકાનમાં જ ગૌમાંસનું વેચાણ કરતા હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે રહેણાંક મકાનમાં ઓચિંતા દરોડા પાડતા ઘરના એક રૂમમાંથી 50 કિલો શંકાસ્પદ માંસ ભરેલું બાચકું મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
ઘટના સ્થળેથી મળી આવેલા માંસના સેમ્પલ મેળવી પોલીસ દ્વારા તાત્કાલિક રાજકોટ સ્થિત એફ.એસ.એલ. લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. એફ.એસ.એલ.ના રિપોર્ટમાં આ જપ્ત કરાયેલું માંસ 'ગૌમાંસ' હોવાનું સ્પષ્ટપણે સાબિત થયું હતું. આ રિપોર્ટના આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી અને માંસના જથ્થાને કબ્જે કરીને આગળની તપાસ તેજ બનાવી હતી.
તાજેતરમાં દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીએ ગાયને 'રાષ્ટ્રમાતા' જાહેર કરી સંપૂર્ણ ગૌ હત્યા મુક્ત ભારતનું આહ્વાન કર્યું છે, ત્યારે બીજી તરફ દેવભૂમિ દ્વારકા નજીક જ ગૌમાંસના વેપારની સામે આવેલી ઘટનાએ ગૌ પ્રેમીઓમાં ભારે આક્રોશ જન્માવ્યો છે. પવિત્ર યાત્રાધામની ભૂમિ પર આચરવામાં આવતા આવા કૃત્યોથી ધાર્મિક લાગણી દુભાતા હિન્દુ સંગઠનોમાં રોષ વ્યાપ્યો છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં આ રેકેટના સપ્લાયનો પણ ખુલાસો થયો છે. ખંભાળીયાનો જાવેદ નામનો શખ્સ માત્ર આર્થિક લાભ મેળવવાના આશયથી ગૌવંશનો વધ કરતો હતો,અને ત્યારબાદ આ માંસ સલમાબેન અને વસીમના ઘરે સપ્લાય કરતો હતો. આ ત્રણેય આરોપીઓ મળીને છૂપી રીતે આ ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવતા હતા, જેમાં જાવેદ મુખ્ય સપ્લાયર તરીકેની ભૂમિકા ભજવી રહ્યો હોવાનું સામે આવ્યું છે.