New Update
ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા આયોજન કચેરી, ભરૂચના સભાખંડમાં યોજાઇ હતી. જેમાં જન સુખાકારી માટે જિલ્લાના સાંસદ અને ધારાસભ્ય ધ્વારા આવતા પ્રશ્નો બાબતે વિગતે સંબંધિત વિભાગો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરે બેઠકમાં ચર્ચવામાં આવતા મુદ્દાઓ અને સમસ્યાઓ પરત્વે સત્વરે ધ્યાન આપી એનો ત્વરિત ઉકેલ લાવવા માટે તમામ અધિકારીઓને સૂચન કર્યું હતું.બેઠકમાં સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, ધારાસભ્યો અરૂણસિંહ રણા, રમેશ મિસ્ત્રી, ડી.કે.સ્વામી, રીતેશ વસાવા, જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષી, જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, નિવાસી અધિક કલેકટર એન.આર.ધાધલ સહિત જિલ્લાના પ્રાંત અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. બેઠકમાં રસ્તાઓનું સમારકામ, નવા રસ્તાઓની મંજૂરી, ડ્રેનેજ સિસ્ટમ, પહોળા સર્વિસ રોડ જેવા માર્ગ અને મકાન વિભાગને લગતા પ્રશ્નો, કેનાલોની સફાઈ, શિક્ષણ વિભાગ, આરોગ્ય અને પાણી પંચાયત, પાણી પુરવઠા, જમીન સંપાદનને લગતા પ્રશ્નો,લેબરના પ્રશ્નો અંગે, જેવા વિવિધ વિભાગોને લગતા પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા સાથે રચનાત્મક સૂચનો કરી સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવી લોકસુખાકારીમાં વધારો કરવા અપીલ કરી હતી.