Connect Gujarat
ગુજરાત

ભરૂચ : ઉર્જામંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં ઝાડેશ્વર સબ સ્ટેશનનું ભૂમિપૂજન સંપન્ન

જેટકોના 66 કેવી ઝાડેશ્વર સબ સ્ટેશનનું ભૂમિપૂજન તથા DGVCLના રિવેમ્પ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેકટર સ્કીમ અંતર્ગત કામગીરીનો શુભારંભ ઉર્જામંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં કરાયું

X

ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડના 66 કેવી ઝાડેશ્વર સબ સ્ટેશનનું ભૂમિપૂજન તથા દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના રિવેમ્પ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેકટર સ્કીમ અંતર્ગત કામગીરીનો શુભારંભ ઉર્જામંત્રી કનુ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉર્જામંત્રી કનુ દેસાઈ પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગુજરાતનું સુકાન સંભાળ્યું હતું ત્યારથી ઉર્જાક્ષેત્રના તમામ પ્રશ્નોનું હલ આવ્યું છે. તે સમયથી તમામ ગામ અને દરેક ઘર સુધી વિજળી પૂરુ પાડનારું ભારતનું ગુજરાત પ્રથમ રાજ્ય છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વમાં અચાનક કલાયમેટ ચેન્જ થઈ રહ્યું છે, ત્યારે ક્લાયમેટ ચેન્જમાં થતા સંશોધન માટે સમગ્ર એશિયામાં પ્રથમ વિભાગની શરૂઆત પણ ગુજરાત રાજ્યમાંથી થઈ છે. વર્ષ 2070 સુધીમાં સમગ્ર વિશ્વમાં ઝીરો કાર્બન ઉત્સર્જન હેતુથી સૌર ઉર્જા અને પવન ઉર્જા થકી 50 હજાર મેગાવોટ વિજળી ઉત્પન્ન કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. જેમાં ફક્ત ગુજરાત રાજ્ય 10 હજાર મેગા વોટથી કામ કરી રહ્યું છે. ભરૂચ જિલ્લાની વાત કરતા ઉર્જા મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2002માં ભરૂચ જિલ્લામાં 24 સબ સ્ટેશનો હતા, જે આજે વધીને 71 સબ સ્ટેશન થયા છે. આવનારા સમયમાં ભરૂચ જિલ્લામાં બીજા 11 જેટલા સબ સ્ટેશનોનું નિર્માણ થશે, જેનાથી તમામ વીજળીની ખપત પૂર્ણ થશે. આ પ્રસંગે ભરૂચના સાસંદ મનસુખ વસાવા, ભરૂચના ધારાસભ્યો રમેશ મિસ્ત્રી, ઈશ્વરસિંહ પટેલ, અરૂણસિંહ રણા, રીતેશકુમાર વસાવા, ડી.કે.સ્વામી, ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્ર વાંસદીયા, ભરૂચ નગર પાલીકા પ્રમુખ વિભૂતી યાદવ, કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, નગર પાલીકાના કમિટી સભ્યો, ભરત પરમાર, માજી ધારાસભ્ય દુષ્યંત પટેલ, ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ ભરૂચના મુખ્ય ઈજનેર એ.એન.દેસાઈ, દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર યુ.એ.ચૌધરી સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story