ભરૂચ જિલ્લા અંકલેશ્વર શહેરના શ્રી અંતરિક્ષ પાશ્વનાથ જિનાલય ખાતે ભાવનગરથી મહારાષ્ટ્ર જવા નીકળેલ જૈન સાધ્વીજીઓના સંઘ સાથે આવેલા શ્વાનને જોઈ સૌકોઈ આશ્ચર્ય પામી રહ્યા છે.
દુનિયાના શ્રેષ્ઠ અને મહાન આત્માઓનું વિચરણ... એટલે જૈન સાધુઓનો ભગવંતો વિહાર. જૈન સંપ્રદાયના સાધુ-સાધ્વીજી પગપાળા ભગવંતો વિહાર કરે છે, ત્યારે ભાવનગરના પાલિતાણાથી મહારાષ્ટ્રના ભાંડુપ જવા નીકળેલ જૈન સાધ્વીજીઓના એક સંઘનું ભરૂચ જિલ્લામાં આગમન થયું હતું. આ સંઘ વિહાર દરમ્યાન અંકલેશ્વરની રવિરાજ સોસાયટી સ્થિત શ્રી અંતરિક્ષ પાશ્વનાથ જિનાલય ખાતે આવી પહોચ્યો હતો.
મુંબઈ નગરોદ્ધારક મુનિ મોહનલાલ મ.સા.ના સમુદાયવર્તિ સામુહિક વર્ષિતપવાળા પ.પૂ. ગુરુમા તેઓના આદિ ઠાણા 5 સંઘ સાથે અંકલેશ્વર પધાર્યા હતા. જોકે, આશ્વર્યની વાત તો એ છે કે, આ જૈન સંઘ સાથે એક શ્વાન પણ જોવા મળ્યું છે. આ શ્વાનનું નામ જાનું છે. ઉત્તરપ્રદેશ ખાતે ભગવંતો વિહાર દરમ્યાન જૈન સંઘ સાથે આ શ્વાન જોડાયું હતું, ત્યારે છેલ્લા 6 વર્ષથી શ્વાન જાનું જૈન સાધ્વીજીઓ સાથે સતત વિહાર કરે છે, જ્યાં પણ તેઓનો સંઘ જાય છે, ત્યાં સાથે સાથે શ્વાન જાનું પણ પહોચી જાય છે. એટલું જ નહીં, જે કોઈપણ આહાર જૈન સાધ્વીજીઓ આરોગે છે, તે જ આહાર શ્વાન જાનું પણ લે છે, અને સાધ્વીજીઓની જેમ ઉકળેલું પાણી જ પીવે છે. ઉપરાંત જૈન સાધ્વીજીઓ દ્વારા કરવામાં આવતી તમામ પૂજન વિધિમાં શ્વાન જાનું ખાસ ભાગ લે છે. વહેલી સવારે નવકારશી અને સંધ્યા સમયે ચૌવિહાર પણ શ્વાન જાનું કરે છે. તો જૈન સાધ્વીજીઓ પણ શ્વાન જાનુંને એટલો જ પ્રેમ આપી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આમ તો શ્વાનને કેટલાક લોકો દૂતકારે છે, પથ્થર મારી ભગાડતા હોય છે. પરંતુ જૈન સાધ્વીજીઓ સાથે રહેતા શ્વાન જાનુંને જોઈ સૌકોઈ લોકો આશ્વર્ય પામી રહ્યા છે.