ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત ઝાડની ડાળીઓ કાપવામાં આવી રહી છે, ત્યારે કોઈપણ અનિચ્છનિય દુર્ઘટનાને પહોચી વળવા આવી કામગીરી એસોસિએશનને સાથે રાખીને કરવામાં આવે તેવી અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખે અપીલ કરી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીના ભાગરૂપે ઝાડની ડાળીઓ કાપવામાં આવી રહી છે. અંકલેશ્વર GIDC વિસ્તારમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ઠેર ઠેર વીજ વાયરો તેમજ લોકોને અડચણરૂપ હોય તેવા વૃક્ષોની ડાળીઓ કાપવામાં આવી રહી છે. વીજ અધિકારીઓએ ગમે તેમ વૃક્ષની ડાળીઓ કાપતા રસ્તા ઉપર, વાહનો પર તેમજ વાયરો ઉપર પણ કાપેલી ડાળીઓ લટકતી જોવા મળી હતી.
જોકે, કાપ્યા બાદ આ ડાળીઓ રસ્તા પર કે, વીજ વાયર ઉપર રહે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાવાનો લોકોને ભય સતાવી રહ્યો છે, ત્યારે આ મામલે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ જશુ ચૌધરીએ જણાવ્યુ હતું કે, અંકલેશ્વર GIDC વિસ્તારમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વૃક્ષની ડાળીઓ કાપતા સમયે જો નોટિફાઇડ તંત્રના સિક્યુરિટીને સાથે રાખી સુનિયોજિત રીતે કામગીરી કરવી જોઈએ, જેથી કોઈના વાહન અને જાનમાલને નુકશાન ન થાય અને અકસ્માત ટાળી શકાય. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, આવનારા સમયમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં DGVCL દ્વારા અંડરગ્રાઉન્ડ વાયરિંગનું કામ પણ શરૂ કરવામાં આવનાર છે. જેથી હવે આગામી વર્ષોમાં પ્રિ-મોન્સૂન કામગીરીના ભાગરૂપે ઝાડની ડાળીઓ કાપવાની કામગીરી નહીં કરવી પડે, અને પર્યાવરણનું પણ રક્ષણ થશે.