ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની ગોયાબજાર શાળા સંકુલ ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી આવકારવામાં આવ્યા હતા.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ પ્રેરિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ગોયાબજાર કન્યાશાળા તથા મુખ્ય શાળાના સંયુક્ત ઉપક્રમે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ સમારંભ યોજાયો હતો.
જેમાં અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલીતા રાજપુરોહિત, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ગણેશ અગ્રવાલ, ઉપાધ્યક્ષ રમણ પટેલ, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહીત શિક્ષણ સમિતિના સભ્યો, દાતાઓ, નિવૃત્ત શિક્ષકોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક તથા સ્કૂલબેગ કીટના વિતરણ સાથે આવકાર આપવામાં આવ્યો હતો. શાળાના મુખ્ય શિક્ષક ગજેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે જરૂરી સુવિધાઓ પ્રદાન કરવા બદલ ઔદ્યોગિક ગૃહો , સામાજિક સંસ્થાઓ તથા સર્વે દાતાઓનો આભાર વ્યક્ત કરી સૌનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે દાતા અરુણકુમાર ગાંધી તથા વિનોદકુમાર ગાંધી દ્વારા વિદ્યાર્થીઓને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. સાથે જ શાળાના નિવૃત્ત મુખ્ય શિક્ષિકા ભારતી ગાંધી દ્વારા વિદ્યાર્થીઓને ગણવેશની ભેટ આપવામાં આવી હતી.