New Update
-
ચીનની ગ્લોબલ માર્કેટમાં ચાલાકી
-
ઓછી કિંમત નીતિથી સ્થાનિક ઉદ્યોગોની મુશ્કેલી વધી
-
ગુજરાતના ઉદ્યોગો કરી રહયા છે નવા આર્થિક સંકટનો સામનો
-
ઉત્પાદન ખર્ચ કરતા પણ ઓછી કિંમતે વેચી રહ્યું છે રસાયણ
-
ચીનની ડમ્પિંગ નીતિએ સ્થાનિક ઉદ્યોગો માટે આર્થિક દબાણ વધાર્યું
-
ઉદ્યોગોમાંથી કામદારોને છુટા કરવાની આવી શકે છે નોબત
-
કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવાની માંગ ઉઠી
ભારતમાં રાસાયણિક અને રંગ ઉદ્યોગ માટે મુખ્ય હબ ગણાતા ગુજરાતના ઉદ્યોગો હાલમાં એક નવા આર્થિક પડકારનો સામનો કરી રહ્યા છે. ચીન દ્વારા તેની રાસાયણિક અને ડાઈ ઉત્પાદનોને ખૂબ જ ઓછી કિંમતે વૈશ્વિક બજારમાં વેચવાના કારણે ગુજરાતના નાના અને મધ્યમ ઉદ્યોગો (SMEs) માટે ટકવું મુશ્કેલ બની રહ્યું છે. આ કારણે માત્ર ઉદ્યોગો નહીં પરંતુ રાજ્યની કુલ આર્થિક વ્યવસ્થાપન પર પણ નકારાત્મક અસર પડી રહી છે.
ચીની કંપનીઓની ‘ડમ્પિંગ નીતિ’ સ્થાનિક ઉદ્યોગો માટે મોટી મુશ્કેલીરૂપ સાબિત થઈ છે. વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર, ચીની કંપનીઓ તેમના માલને ઉત્પાદન ખર્ચ કરતાં પણ ઓછી કિંમતે આંતરરાષ્ટ્રીય બજારમાં વેચે છે. આ નીતિને 'ડમ્પિંગ નીતિ' કહેવાય છે, જેમાં બજાર પર દબદબો સ્થાપિત કરવા માટે કિંમતને ઇરાદાપૂર્વક ઘટાડવામાં આવે છે. તેના સીધા પરિણામ સ્વરૂપે ગુજરાતના અંકલેશ્વર, વટવા, સાઇખા, પાનોલી, વાપી અને અન્ય ઔદ્યોગિક વિસ્તારોમાં આવેલી હજારો યુનિટ્સ પર આર્થિક દબાણ વધી ગયું છે.
સ્થાનિક ઉદ્યોગકારોના જણાવ્યા અનુસાર, તેઓ ચીન સાથે ભાવ સ્પર્ધા કરી શકતા નથી. જેમના ઉત્પાદનોની કિંમતો ₹100 હોય છે, તે ચીન તરફથી ₹60 કે ₹70માં ભારતમાં આવી રહ્યા છે. પરિણામે નફો ઘટી ગયો છે અને અનેક એકમોને ઉત્પાદન બંધ કરવાની નોબત આવી છે.
ગુજરાતના ડાઈ અને રાસાયણિક ઉદ્યોગનો મોટો હિસ્સો નિકાસ પર આધારિત છે. પરંતુ ચીનના સસ્તા સપ્લાયના કારણે હવે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ગુજરાતના ઉત્પાદનોની માંગ ઘટી રહી છે. પરિણામે ઘણા ઉદ્યોગોનું ઉત્પાદન ઘટી ગયું છે અને કામદારને છૂટા કરવાની નોબત આવી છે. જો આવા હાલાત લાંબા સમય સુધી રહ્યા, તો સ્થાનિક સ્તરે બેરોજગારી વધી શકે છે.
ઉદ્યોગ જગત સાથે સંકળાયેલી સંસ્થાઓ અને એસોસિએશન્સે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સમક્ષ ડમ્પિંગ વિરોધી શુલ્ક (Anti-Dumping Duty) લાગુ કરવા માટે રજૂઆત કરી છે. તેમનું કહેવું છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો સેંકડો ઉદ્યોગો બંધ થવાની ભીતિ છે, જેના લીધે આર્થિક નુકસાન ઉપરાંત હજારો લોકોનો રોજગાર જોખમાય શકે છે.
ઔદ્યોગિક નિષ્ણાતોનું માનવું છે કે ભારતમાં ઉત્પાદન ખર્ચ ઘટાડવો, ટેકનોલોજીમાં સુધારો લાવવો અને નિકાસ પ્રોત્સાહન યોજનાઓને વધુ મજબૂત બનાવવાની જરૂર છે. સાથે સાથે ચીનની નીતિના વિરોધમાં આંતરરાષ્ટ્રીય વેપાર સંસ્થાઓમાં પણ ફરિયાદ કરી શકાય છે.
ગુજરાતનો રાસાયણિક અને ડાઈ ઉદ્યોગ લાંબા સમયથી દેશના ઔદ્યોગિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપતો આવ્યો છે, પણ હાલ તે ચીનની ઓછી કિંમતની નીતિ સામે સંકટમાં છે. સરકાર, નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગ સંસ્થાઓએ એકસાથે આવી પડકારજનક પરિસ્થિતિને દુર કરવા પગલાં લેવાની જરૂર છે, જેથી સ્થાનિક ઉદ્યોગોને ફરીથી સ્પર્ધાત્મક બનાવી શકાય અને રાજ્યની આર્થિક સ્થિતિમાં સ્થિરતા લાવી શકાય.