ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર નગરપાલિકા દ્વારા 58 જેટલી જર્જરિત મિલકતોના માલિકોને નોટિસ પાઠવી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ઈમારતોને ઉતારી લેવાની સૂચનાઓ આપવામાં આવી છે.
ચોમાસુ દસ્તક દઈ રહ્યું છે, ત્યારે અંકલેશ્વર શહેરમાં જર્જરિત મકાન અને એપાર્ટમેન્ટનો નગરપાલિકા દ્વારા સર્વે કરી અગમચેતીના ભાગરૂપે નોટિસ ફટકારવામાં આવી રહી છે. નગરપાલિકા દ્વારા શહેરના 58 જર્જરિત ઇમારતોના માલિકોને કોઈ હોનારત ન સર્જાય તે માટે વહેલીતકે ઇમારત ઉતારી લેવા નોટિસ પાઠવાય છે, અને જે તે મિલકત ધારકને જર્જરિત મકાન ઉતારવા માટે નગરપાલિકાની મદદની જરૂર પડે તે માટે પણ પાલિકા તંત્રએ તૈયારી દર્શાવી છે. અંકલેશ્વર નગરપાલિકાના મુખ્ય અધિકારી કેશવ કોલડીયાએ જણાવ્યુ હતું કે, ચોમાસાના આગમન પૂર્વે શહેર વિસ્તારમાં પ્રિ-મોન્સૂન કામગીરીની સાથે શહેરમાં જર્જરિત મિલકતોનો સર્વે કરીને નોટિસ પાઠવવામાં આવી છે.
તો બીજી તરફ, અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જર્જરિત મિલકત ધારકોને આપવામાં આવેલી નોટીસ મામલે પાલિકા વિપક્ષના નેતા જહાંગીર પઠાણે પણ સવાલ ઉઠાવ્યા છે. તેઓએ આક્ષેપ કરતાં જણાવ્યુ હતું કે, પાલિકાના શાસકો માત્ર નોટીસ પાઠવી સંતોષ માને છે, અને નોટીસ બાદ શું કામગીરી થવી જોઈએ તેના પર ધ્યાન આપવામાં નથી આવતું જે એક ગંભીર બાબત છે.