-
જુના કાંસીયાને પાવન કરતુ રંગ અવધૂતજીનું મંદિર
-
ઈ.સ.1968 જેઠ માસમાં મહારાજ પધાર્યા હતા
-
રંગ અવધૂતજીએ 23 દિવસ સુધી કર્યું હતું રોકાણ
-
મહારાજ ડોળીમાં બેસીને નર્મદા સ્નાન માટે જતા હતા
-
ડોળી ઉંચકનારને આપતા હતા પ્રસાદરૂપે પુષ્પો
-
પ્રસાદ પુષ્પો ડોળીવાળા માટે બની જતા રૂપિયા
-
મંદિર નાનું પણ ભક્તોથી ધબકતું રહે છે પરિસર
અંકલેશ્વર તાલુકાના નર્મદા નદીના કિનારે વસેલા જુના કાંસીયા ગામનું શ્રી રંગ અવધૂત મહારાજનું મંદિર ભક્તો માટે આસ્થા સ્થાનક બન્યું છે.ખુદ રંગ અવધૂત મહારાજ આ ગામમાં પધાર્યા હોવાનું કહેવાય છે.
અંકલેશ્વર તાલુકાના અને પવન શલીલા માઁ નર્મદા નદીના કિનારે વસેલા જુના કાંસીયા ગામ જમરૂખ,ચીકુ સહિતના ફળોની ખેતીથી ખ્યાતનામ છે.મીઠા ફળની ઓળખથી જાણીતું થયેલું ખોબા જેવડું જુના કાંસીયા ગામ ધાર્મિક ગતિવિધિથી પણ ઓળખ બનાવી રહ્યું છે.ખેતર અને વૃક્ષોની હરિયાળી વચ્ચે નારેશ્વરના નાથ પૂ.શ્રી રંગ અવધૂત મહારાજનું શાંતિમય સ્વચ્છ વાતાવરણમાં સુંદર મંદિર આવેલું છે.મંદિર ભલે નાનું છે પરંતુ મંદિર પરિસર ભક્તોથી ધબકતું રહે છે.
લોકવાયકા મુજબ પૂ.શ્રી રંગ અવધૂત મહારાજ ઈ.સ.1968ના જેઠ માસમાં નર્મદા કિનારે આવેલા જુના કાંસીયા ગામમાં પધાર્યા હતા.આ ગુપ્ત મુકામમાં રંગ અવધૂત મહારાજ નર્મદા નદીની ગોદમાં વસેલા જુના કાંસીયા ગામ ખાતે રોકાયા હતા.કહેવાય છે કે પૂ.શ્રી રંગ અવધૂત મહારાજ નર્મદા નદીમાં સ્નાન કરવા માટે ડોળીમાં બેસીને જતા હતા,અને ડોળી ઉંચકનારને પ્રસાદરૂપે પુષ્પો આપતા હતા,જે પુષ્પ ડોળી ઉંચકનાર ઘરે લઇ જતા તે બાદમાં રૂપિયા બની ગયા હોવાની માન્યતા છે.અને ભરૂચ જિલ્લામાં જુના કાંસીયા ગામે રંગ અવધૂત મહારાજ પધાર્યા હોવાની વાત વાયુવેગે પ્રસરતા મહારાજના દર્શન અને આશીર્વાદનો લાહ્વો લેવા માટે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.
કહેવાય છે કે શ્રી રંગ અવધૂત મહારાજના સાનિધ્યમાં થોડીક જ રસોઈમાં અનેક ભક્તો પ્રસાદી આરોગતા હતા.અને નર્મદા નદીના જળનું ઘી બનાવીને અને વરસાદ રોકી રાખવા સહિતના અનેક દિવ્ય લીલાઓથી આ સ્થળ પાવન બન્યું છે.અષાઢ માસ બેઠા પછી ડભોઇ ગામે ગુરુ પૂર્ણિમા પ્રસંગે જવાનું હોવાથી નર્મદાજીના માર્ગે અવધૂતજી સડકમાર્ગે ભરૂચ વગેરે સ્થળોનો રસ્તો કાપીને રંગ અવધૂત મહારાજ ડભોઇ પધાર્યા હતા.
તેમના દિવ્ય આંદોલનોથી આ સ્થળ આજે પણ આલ્હાદિત છે. સ્થાન ખાનગી માલિકીનું હોવા છતાં સમગ્ર અવધૂત પરિવાર અને અન્ય ભક્તો દર્શન, ભજન, પાઠ-પારાયણ માટે અહીં આવે છે, અને પૂજ્યશ્રીની અનુભૂતિથી કૃતાર્થ થાય છે.વધુમાં અનેક વખત નર્મદા નદીમાં ઘોડાપુર આવ્યા બાદ તોફાની પાણીએ અહીં ફરી વળ્યા હોવા છતાં પૂ.શ્રી રંગ અવધૂત મહારાજનો મુકામ જે ઘરમાં હતો તે ઘર હજુ યથાવત છે.