ચૌટાબજાર વિસ્તારમાં પાલિકા દ્વારા સીટી સિવિક સેન્ટરનું નિર્માણ
પાલિકા કચેરીએ ધક્કો ન ખાવો પડે તે પ્રકારનું પાલિકાનું આયોજન
એક સ્થળ અને એક છત નીચે થતાં અરજદારોના દસ્તાવેજી કામો
દરરોજ અંદાજે 200થી વધુ અરજીઓનો કરવામાં આવે છે નિકાલ
લોકોને કતારમાં ઉભા રહેવું ન પડે તે માટે ટોકન સિસ્ટમ ઉપલબ્ધ
સીટી સિવિક સેન્ટર નાગરિકો માટે બની ગયું છે સુવિધાસભર કેન્દ્ર
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા નિર્માણ પામેલ સીટી સિવિક સેન્ટર નાગરિકો માટે સુવિધાસભર કેન્દ્ર બન્યું છે. પાલિકા કચેરીએ ધક્કો ન ખાવો પડે તેમજ જરૂરી દસ્તાવેજી કામો એક જ સ્થળે એક છત નીચે થતાં લોકો માટે સીટી સિવિક સેન્ટર આશીર્વાદરૂપ સાબિત થયું છે.
ભરૂચ જિલ્લાની અંકલેશ્વર નગરપાલિકા ખાતે આવતાં અરજદારોને જન્મ-મરણના દાખલા સહિતના જરૂરી દસ્તાવેજો માટે કલાકો સુધી રાહ જોવી પડતી હતી. પરંતુ હવે આ નાગરિકોની આ સમસ્યાનું નિરાકરણ આવી ગયું છે. અંકલેશ્વરના ચૌટાબજાર વિસ્તારમાં નગર સેવાસદન દ્વારા રૂ. 1.39 કરોડના ખર્ચે નિર્માણ પામેલ આધુનિક સીટી સિવિક સેન્ટરનું રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકોની સમસ્યાનો હલ લાવવા માટે શહેરના સૌ પ્રથમ સિવિક સેન્ટરનું લોકાર્પણ કરી દેવાયું છે.
પાલિકા કચેરીથી સીટી સિવિક સેન્ટરનું અંતર માત્ર દોઢ કિમી જેટલું છે. સીટી સિવિક સેન્ટરમાં 6 કોમ્પ્યુટર સિસ્ટમ સાથે 6 કાઉન્ટર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત અરજદારોને કતારમાં ઉભા રહેવું ન પડે તે માટે ટોકન સિસ્ટમ અને બેસવાની સુંદર વ્યવસ્થા રાખવામાં આવી છે. સીટી સિવિક સેન્ટરમાં સરકારની વિવિધ યોજના તેમજ સુવિધા નાગરિકોને એક જ છત નીચે મળી રહી છે, જ્યાં રોજના 200થી વધુ અરજદારોની અરજીનો નિકાલ કરવામાં આવે છે.
અરજદારોને જન્મ-મરણની નોંધણી, મિલકત વેરો, વ્યવસાય વેરો સહિતના કામો એક જ સ્થળે કરવામાં આવે છે. જેનાથી લોકોને નગરપાલિકામાં ધક્કા ખાવામાંથી મુક્તિ મળી છે, ત્યારે કહી શકાય કે, આ જનસુવિધા કેન્દ્ર ખરા અર્થમાં નાગરિકો માટે સુવિધાસભર કેન્દ્રો બન્યા છે.