/connect-gujarat/media/media_files/2025/08/22/ambaji-foot-sangh-2025-08-22-18-15-16.jpg)
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબાજી પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે મહાનુભાવો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં અંબાજી પગપાળા સંઘને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
ભાદરવી પૂર્ણિમાએ જગત જનની માઁ અંબાના પ્રાગટ્ય દિવસના દર્શન કરવા સમગ્ર રાજ્યમાંથી લાખ્ખોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી પહોચી માતાજીને શિષ નમાવવા જાય છે. હજારો પદયાત્રીઓ માતાજીનો રથ લઇ અંબાજી જવા નીકળતા ઠેર ઠેર માર્ગો પદયાત્રીઓથી ઉભરાયા છે. “બોલ માડી અંબે, જય જય અંબે”ના નાદથી રસ્તાઓ ગૂંજી ઉઠ્યા છે, ત્યારે માતાજીના પ્રાગટ્ય દિવસ અને માઁ અંબાની ભક્તિમાં લીન બનવા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લાથી પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ જગત જનની માઁ અંબાજી પ્રત્યે અતુટ શ્રદ્ધા ધરાવતા ભક્તોના પગપાળા સંઘને મહાનુભાવો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ઝઘડિયા તાલુકાના અલગ અલગ ગામેથી માઈભક્ત પરીમલ પટેલની આગેવાનીમાં પદયાત્રીઓ ઉમલ્લાથી આરતી તેમજ મહા પ્રસાદનો લાભ લઈ અંબાજી ધામ જવા રવાના થયા હતા.
ઉમલ્લાથી અંબાજીની પદયાત્રા 21 વર્ષથી ચાલે છે, અને હાલ આ 22મુ વર્ષ છે. જેમાં ઝઘડિયા તાલુકાના અલગ અલગ ગામેથી 100 જેટલા પદયાત્રીઓ જોડાયા છે. અંદાજિત 405 કિલોમીટરનું અંતર કાપી માઈભક્તો દ્વારા આંબાજી મંદિરના શિખર પર તેરસના દિવસે 52 ગજની ધ્વજા ચડાવી શ્રદ્ધાપૂર્વક માઁ અંબાને વંદન કરશે. આ પ્રસંગે ઝઘડીયાના ધારાસભ્ય રિતેશ વસાવા, દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ સહિતના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.