કંથારીયા ગામમાં વકફ બોર્ડ કમિટીમાં ગેર વહીવટનો આક્ષેપ
ગુજરાત રાજ્ય વકફ બોર્ડ સમક્ષ તપાસની માંગ કરવામાં આવી
તપાસની માંગ કરનાર પિતા-પુત્ર પર જીવલેણ હુમલાનો મામલો
હુમલો કરનાર 2 શખ્સોની તાલુકા પોલીસ દ્વારા ધરપકડ કરાય
ગુન્હામાં અન્ય કોઈની સંડોવણી છે કે, કેમ તે દિશામાં પણ તપાસ
મળતી માહિતી અનુસાર, ભરૂચ તાલુકાના કંથારીયા ગામના વતની સુહેલ પટેલ તેમના પિતા ગુલામ એહમદ પટેલ સાથે મનુબર ગામ ખાતે કોઈ કામ અર્થે ગયા હતા, જ્યાંથી મોપેડ પર પરત ફરતી વેળા પુરપાટ ઝડપે આવેલી નંબર પ્લેટ વગરની i-20 કારના ચાલકે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જે અકસ્માત અંગે પોલીસે ગુન્હો દાખલ કર્યો હતો. પોલીસ તપાસમાં અકસ્માત સર્જી ફરાર થઈ જનાર ઈસમો કંથારીયા ગામના જ વતની હોવાનું બહાર આવ્યું હતું.
વધુમાં સુહેલ ગુલામ એહમદ પટેલે કંથારીયા ગામના મદ્રેસા અને મસ્જિદ જેવી ધાર્મિક વકફ બોર્ડની સંસ્થામાં થતી ગંભીર પ્રકારની ગેરરીતી અંગે ગુજરાત રાજય વકફ બોર્ડ-ગાંધીનગર સમક્ષ તપાસની માંગ કરી હતી. જેની અદાવતમાં રોષે ભરાયેલા મસ્જિદ-મદ્રેસાના ટ્રસ્ટીઓએ સોહેલ તેમજ તેમના પિતા પર કાર ચઢાવી દઈ જાનથી મારી નાખવાની કોશિશ કરી સમગ્ર પ્રકરણને અકસ્માતમાં ખપાવી દાબી દેવાનું સુનિયોજીત કાવતરું ઘડ્યું હતું. જે બાબતે ભરૂચ જિલ્લા પોલીસ વડાને પણ રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી આ ગુન્હામાં કંથારિયા ગામના ટ્રસ્ટીના પુત્ર સરફરાઝ સૂઝરા તેમજ સફવાન સિરાજની અટકાયત કરી હત્યાના પ્રયાસની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ પોલીસે આ ગુન્હામાં અન્ય કોઈની સંડોવણી છે કે, કેમ તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે.