ગુજરાતમાં અનુસુચિત વિસ્તારમાં ભુમાફિયાઓ દ્વારા છીનવી લેવામાં આવેલ આદિવાસીઓની જમીનની તપાસ કરી કાર્યવાહી કરવાની ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા માંગ ઉઠવા પામી છે.
ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા ભરૂચ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી ગુજરાતમાં અનુસુચિત વિસ્તારમાં ભુમાફિયાઓ દ્વારા છીનવી લેવામાં આવેલ આદિવાસીઓની જમીનની તપાસ કરી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ, રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રીને સંબોધેલ આવેદન પત્ર ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા જિલ્લા કલેકટરને પાઠવવામાં આવેલ આવેદન પત્રમાં જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યનો પૂર્વ પટ્ટીનો વિસ્તાર એટલે કે, ઉમરગામથી અંબાજી સુધીનો વિસ્તાર આદિવાસી બહુલ વિસ્તાર છે, જેનો ભારતીય બંધારણની પાંચમી અનુસુચિમાં સમાવેશ થાય છે.
હાલમાં ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાના ગોધરા તાલુકામાં આદિવાસીઓની જમીનના ખોટા દસ્તાવેજ બનાવી આદિવાસીઓની જમીન છિનવી લેવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં ગોધરા પોલીસને 5 જેટલી ફરિયાદ મળેલ છે. આ ફરિયાદ મુજબ એક જ જમીનની કિંમત 100 કરોડ જેટલી આંકવામાં આવી છે. તો અહીં પ્રશ્ન એ ઉદભવે છે કે, 5 ફરિયાદમાં જે જમીન છે એની કિંમત કેટલી હશે..? ઉમરગામથી અંબાજી સુધીના અનુસુચિ 5 વિસ્તારમાં આવી કેટલી ઘટનાઓ હશે..? કે, જેમાં ખોટા દસ્તાવેજ કરીને, ધાકધમકી આપીને, ગુંડા તત્વોનો ઉપયોગ કરીને, સરકારી અધિકારીઓની મિલિ ભગતથી, રાજકીય વગ ધરાવીને આદિવાસીઓની કેટલી જમીન છિનવી લેવામાં આવી હશે તે એક મોટો અને ગંભીર પ્રશ્ન છે, ત્યારે ગુજરાતમાં આદિવાસીઓની જમીનના સંરક્ષણ માટે 73-AAનો કાયદો બનાવવામાં આવ્યો છે, જેથી કોઇ પણ આદિવાસી કે, બિન આદિવાસી ઇસમ આદિવાસીની જમીન છિનવી ન શકે. પરંતુ સમગ્ર આદિવાસી વિસ્તારમાં ભુમાફિયાઓ, જમીન દલાલો, ગુંડા તત્વો ધાક ધમકીથી, અધિકારીઓની મિલીભગતથી કે, રાજકીય વગનો ઉપયોગ કરીને આ કાયદાનો સરેઆમ ભંગ કરી રહ્યા છે, જે ગુન્હાપાત્ર કૃત્ય છે, ત્યારે અનુસુચિ 5 વિસ્તારમાં ભુમાફિયાઓ દ્વારા છીનવી લેવામાં આવેલ આદિવાસીઓની જમીનની તપાસ કરી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેવી ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા માંગ ઉઠવા પામી છે.