ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આયોજન
ફૂડ સેફ્ટી પખવાડિયાની ઉજવણી કરવામાં આવી
જનજાગૃતિ શિબિર-લાયસન્સ રજીસ્ટ્રેશનનું આયોજન
શિબિરમાં ફૂડ વિભાગના અધિકારી ખાસ ઉપસ્થિત રહ્યા
માર્ગદર્શન શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગુજરાત રાજ્ય દ્વારા ફૂડ સેફ્ટી પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે ભરૂચ ખાતે જનજાગૃતિ શિબિર તથા લાયસન્સ રજીસ્ટ્રેશનનું આયોજન કરવા અંગે માર્ગદર્શન સેમિનારમાં મોટી સંખ્યામાં સંચાલકોએ લાભ લીધો હતો.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યની જાહેર જનતાને શુદ્ધ સાત્વિક તેમજ સલામત આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગુજરાત રાજ્ય દ્વારા ફૂડ સેફ્ટી પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. જે આગામી તા. 17 ઓક્ટોબર 2024 સુધી ચાલનાર છે.
જેના ભાગરૂપે ભરૂચ શહેર અને જીલ્લામાં ખાદ્ય ચીજના વેપારીઓ સાથે સંકળાયેલ ખાણી-પીણીના લારી-ગલ્લાઓ, હોટલ, રેસ્ટરોન્ટ તેમજ અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે ભરૂચ અને નર્મદા વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી જનજાગૃતિ શિબિર તથા લાયસન્સ રજીસ્ટ્રેશન અંગેનો સેમિનાર ભરૂચના ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિર નજીક આવેલ હોટલ યુનિટી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં સંચાલકોએ લાભ લીધો હતો.
જેમાં ફૂડ વિભાગના અધિકારી અશોક રાઠવાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વેપારીઓને સ્થળ પરથી જ રજીસ્ટ્રેશન કરી લાયસન્સ આપવામાં આવશે. જેથી વેપારીઓ સહેલાઈથી વેપાર કરી શકે, પહેલા લારી-ગલ્લા ચલાવતા ફેરીયાઓ માટે રજીસ્ટ્રેશન ફ્રી રૂ. 100 હતી. જે હાલમાં સરકારે નિઃશુલ્ક કરવામાં આવતા નાના ફેરીયાઓને લાયસન્સ કાઢી આપવામાં આવનાર છે.