-
શહેરના વોર્ડ નં. 7 વિસ્તારના સ્થાનિક રહીશો ત્રાહિમામ
-
ચિંગસપુરા-ગોલવાડમાં ગટરલાઇનની કામગીરી અધૂરી
-
પાલિકા દ્વારા શરૂ કરાયેલ કામગીરી 2 મહિનાથી અધૂરી
-
અધૂરી કામગીરીના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
-
વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠી
ભરૂચ શહેરના વોર્ડ નં. 7 વિસ્તારમાં આવેલ ચિંગસપુરા-ગોલવાડ ખાતે નગરપાલિકા દ્વારા શરૂ કરાયેલ ગટરલાઇનની કામગીરી છેલ્લા 2 મહિનાથી અધૂરી રહી જતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અધૂરી કામગીરીના કારણે આ વિસ્તારોમાં ગંભીર રીતે દુર્ગંધ, ગંદકી અને મચ્છરનો ઉપદ્રવ વધતા નરકાગાર જેવી સ્થિતિ સર્જાઈ છે.
ભરૂચ શહેરના વોર્ડ નં. 7 વિસ્તારમાં ચિંગસપુરા-ગોલવાડથી પસાર થતી જૂની ગટર લાઇન જર્જરિત હાલતમાં હતી. જેને બદલે નગરપાલિકા દ્વારા નવી અંડર ગ્રાઉન્ડ ગટરલાઈનની કામગીરી કરવામાં આવી રહી છે. જોકે, કાર્ય ચાલુ હોય તે સ્થિતિમાં ગટરનું જોડાણ કર્યા વિના કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. જેના કારણે લોકોના ઘરના આંગણામાં ગંદું પાણી ભરાઈ રહ્યું છેમ અને મુખ્ય રસ્તા પર પણ ગંદકી છવાઈ ગઈ છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ગટરના ઉદભવેલા દુર્ગંધ અને ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે, તથા ડેન્ગ્યુ જેવી બીમારીઓ ફેલાવાની ભીતિ પણ દેખાઈ રહી છે. લોકોનું કહેવું છે કે, પાલિકા દ્વારા નીતિ તો સારી હતી, પણ અધૂરી કામગીરીનાલીધે હાલ એક વિપત્તી સમાન સ્થિતિ સર્જાઈ છે.
ઉલ્લેખનીય છે કે, આ રસ્તા પરથી સ્મશાનયાત્રા માટે પણ વાહનો પસાર થાય છે, જેને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ આ મામલે અવારનવાર નગરસેવકો તથા પાલિકા અધિકારીઓને રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. રહેવાસીઓએ તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવાની માંગ કરી છે, તેમજ તેમનું ડ્રેનેજ જોડાણ પણ નવી લાઈન સાથે જોડીને તેમને ત્રાસમુક્ત જીવન આપવા માટે તંત્રને અનુરોધ કર્યો છે.