મધ્ય પ્રદેશમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં ધરખમ વધારો જોવા મળ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડીયા નજીક નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે.
સરદાર સરોવર ડેમ સીઝનમાં પ્રથમ વાર 135.02 મીટરની સપાટી વટાવી છે, જેના કારણે સરદાર સરોવરના ડેમના 9 દરવાજા ખોલી રવિવારે 1 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે. જેના પગલે સીઝનમાં પ્રથમવાર ઝઘડીયા તાલુકામાંથી પસાર થતી નર્મદા નદી બે કાંઠે વેહતી થઈ હતી. નર્મદા નદીમાં હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નર્મદા નદીની સપાટી સતત વધી રહી છે. તંત્ર દ્વારા ઝઘડીયા તાલુકાના નર્મદા નદી કાંઠે ઓરપટાર, તરસાલી, ટોઠિદ્રા, ભાલોદ, જુનાપરા અને ઇન્દોર સહિત વાસણા જેવા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ લોકોને ભયભીત ન થઈ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.