ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ચાંદીપુરા વાયરસને લઈ તકેદારી રાખવાની માંગ સાથે ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા આરોગ્ય અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી.
હાલમાં ગુજરાતભરમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નજીકમાં આવેલ નેત્રંગ તાલુકામાં ચાંદીપુરા વાયરસનો એક શંકાસ્પદ કેસ જણાય આવ્યો હતો. જેથી ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અવિધા CHC અને રાજપારડી PHCની મુલાકાત લેવામાં આવી હતી. આ દરમ્યાન હાજર અધિકારી સાથે ચાંદીપુરા વાયરસ માટે તંત્ર દ્વારા શું પૂર્વ તૈયારી કરવામાં આવી છે..? તેને લગતા શું પગલાં લેવામાં આવ્યા છે, તેમજ ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગ તેમજ પાણીજન્ય રોગો માટે શું પગલાં લેવામા આવ્યા છે, તેની જાણકારી મેળવી હતી.
ત્યારબાદ તાલુકા આરોગ્ય અધિકારીને રૂબરૂ મળી ઝઘડિયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં દવાનો છંટકાવ તેમજ આરોગ્યની જરૂરી તપાસ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી, તેમજ અવિધા આરોગ્ય કેન્દ્ર અને રાજપારડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની કોંગ્રેસ સમિતિ દ્વારા રૂબરૂ મુલાકાત લઈ જ્યાં તપાસ કરવામાં આવતા બાળકોના કોઈપણ તબીબ ન હોવાનું જાણવા મળ્યું હતું.
જેથી બાળકો માટે સ્થાયી તબીબ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધનરાજ વસાવા તેમજ તેઓની ટીમ દ્વારા તાલુકા હેલ્થ ઓફિસરની મુલાકાત લઇ ઝઘડિયા અને વિવિધ વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસને લગતી તકેદારીના ભાગરૂપે કામગીરી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.